લોકગાયિકા ગીતા રબારીને ઘરે જઈ રસી અપાતાં વિવાદ, સોશિયલ મીડિયામાં ફોટો પોસ્ટ કર્યા બાદ તાબડતોબ ડિલિટ કરવો પડ્યો
ગુજરાતે કોરોના રસીકરણ અભિયાનમાં અપૂર્વ સિદ્ધિ મેળવી છે. 12 જૂને સાંજ સુધીમાં રાજ્યમાં કોરોના રસીના 2 કરોડ ડોઝ લોકોને આપવામાં આવ્યા છે. 2 કરોડ રસીના આ ડોઝમાં 1 કરોડ 55 લાખ લોકોને રસીના પ્રથમ ડોઝ અને 45 લાખ લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
રાજ્યમાં નાગરિકોને સરકારના નિયમોનું કડકરીતે પાલન કરી અને વિનામુલ્યે રસી આપવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા રસીકરણ અભિયાન શરૂ થયું ત્યારથી કડક નિયમ સાથે જ રસી આપવામાં આવે છે. છેલ્લા પાંચ મહિનામાં બે કરોડ લોકોને વ્યાપક રસીકરણ અભિયાન હેઠળ આવરી લેવામાં આવ્યા છે. પરંતુ આ રસીકરણ અભિયાનની સફળતા સાથે એક વિવાદ પણ સામે આવ્યો છે. આ વિવાદ છે લોકગાયિકા ગીતા રબારી સાથે જોડાયેલો.
સામાન્ય નાગરિકો માટે જ્યાં રસી લેવાના કડક નિયમો છે, જ્યાં વયોવૃદ્ધ લોકોને પણ લાકડીના ટેકે ચાલી આરોગ્ય કેન્દ્ર સુધી રસી લેવા જવું પડે છે ત્યાં લોકગાયિકા ગીતા રબારીને તેના ઘરે જઈ હેલ્થ વર્કરે રસી આપતા ભારે ખળભળાટ મચી ગયો છે.
દેશવિદેશમાં પ્રખ્યાત ગીતા રબારીએ પોતે રસી લીધાને એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ઉત્સાહમાં પોસ્ટ કરી તો દીધી પરંતુ ત્યારબાદ જે વિવાદ થયો તેને ધ્યાને લેતા લોકગાયિકાએ પોતે કરેલી ટ્વીટ ડિલીટ કરી દીધી. જો કે ત્યાં સુધીમાં તેના ફોટો વાયરલ થઈ ચુક્યા હતા. આ ફોટામાં જોવા મળે છે કે લોકગાયિકા અને તેના પરીવારના સભ્યોને હેલ્થ સુપરવાઈઝર રસી આપી રહ્યા છે પરંતુ આ રસી નિયમ વિરુદ્ધ તેના ઘરે જઈને આપવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણ પ્રકાશમાં આવતા જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા આરોગ્ય અધિકારીને કાર્યવાહી કરવા તાબડતોપ આદેશ આપ્યા હતા. આ આદેશ બાદ સીડીએચઓ ડો નજક માઢકે માધાપરના ફિમેલ હેલ્થ સુપરવાઈઝરને નોટિસ ફટકારી છે અને તેમને તુરંત જવાબ આપવા કહ્યું છે કે તેમણે લોકગાયિકાને ઘરે રસી લઈ જઈ શા માટે રસી આપી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જ્યારથી 18થી 44 વર્ષના લોકોનું રસીકરણ થઈ રહ્યું છે ત્યારથી સામાન્ય લોકો ઓનલાઈન નોંધણીથી લઈ રસીનો સ્ટોક ન હોવા સુધીની પરેસાનીઓને સામનો કરી રહ્યા છે ત્યાં લોકગાયિકા પોતાના ગામમાં ખાસ સવલત ભોગવે છે અને પોતાના ઘરે હેલ્થવર્કરને બોલાવી રસી લઈ રહ્યા છે. આ વાતને સોશિયલ મીડિયા પર લોકોએ પણ વખોડી કાઢી છે.
જે ફોટો સામે આવ્યા છે તેમાં લોકગાયિકા અને તેના પતિ સહિતના પરીવારજનોને ઘરમાં જ કોરોનાની રસી અપાઈ રહી છે. જો કે હવે આ મામલે તંત્ર શું કાર્યવાહી કરે છે અને લોકગાયિકા શું જવાબ આપે છે તે જોવાનું રહ્યું.
કારણ કે ટ્વીટર પર જ્યારે આ પોસ્ટ કરવામાં આવી હતી ત્યારથી લોકો લોકગાયિકા સામે પ્રશ્નો કરી રહ્યા છે કે તેમણે નોંધણી કરાવી હતી ? આ સ્લોટ કેવી રીતે મળ્યો ? આ પ્રશ્નોના જવાબ તેમની પાસે ન હતા તેથી તેમણે પોસ્ટ તો ડિલીટ કરી પરંતુ લોકો તો તેમના જવાબની રાહ જોશે જ.