IRCTC લાવ્યું છે ખાસ પેકેજ, જાણો ક્યાંની મુસાફરી પડશે કેટલા રૂપિયામાં
આઇઆરસીટીસી ટૂરિઝમે મુંબઈ થી કાશ્મીર સુધીનું ટૂર પેકેજ જાહેર કર્યું છે. ફક્ત થોડાં રૂપીયામાં ફરી શક્શો આખુ કાશ્મીર. ચાલો જાણીએ આ પેકેજ ની સંપૂર્ણ માહીતી. આઇઆરસીટીસી ટૂરિઝમે તાજેતરમાં મુંબઈ થી શ્રીનગર સુધી પાંચ રાત અને છ દિવસનું ટૂર પેકેજ રજૂ કર્યું છે, જેની શરૂઆતની કિંમત વ્યક્તિ દીઠ સત્તયાવીસ હજાર ત્રણસો રૂપિયા છે.
ભારતીય રેલવે દ્વારા શ્રી નગરની મુલાકાતમાં ગુલમર્ગ, સોનમર્ગ અને પહેલગામ ખાતેના સ્થળોનો પણ સમાવેશ થશે. ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી) નો પ્રવાસ પચીસ થી છવીસ સપ્ટેમ્બર થી મુંબઈથી શરૂ થશે. આઇઆરસીટીસી ટૂરિઝમ વેબસાઇટ અનુસાર મુંબઈ થી શ્રીનગરની મુસાફરી ઇન્ડિગો ફ્લાઇટ્સ દ્વારા થશે. ચાલો આ પેકેજની સંપૂર્ણ વિગતો જાણીએ.
પહેલો દિવસ, મુંબઈ – શ્રીનગર
પ્રથમ દિવસે પ્રવાસીઓ ને ઇન્ડિગો એરલાઇન્સ ની ફ્લાઇટ દ્વારા મુંબઇ થી શ્રીનગર લઇ જવામાં આવશે. શ્રીનગર પહોંચ્યા બાદ પ્રવાસીઓ શંકરાચાર્ય મંદિર ની મુલાકાત લેશે.
અહીં પ્રખ્યાત ડાલ લેક હાઉસબોટમાં ચેક-ઇન કરવાનું રહેશે. બપોરનો સમય પ્રવાસીઓ આરામથી પસાર કરી શક્શે. જ્યારે સાંજે પ્રવાસીઓ ડાલ લેક (સ્વ ખર્ચે) પર શિકારા સવારીનો આનંદ પણ માણી શક્શે. અહીં રાત્રિ ભોજન હાઉસબોટમાં જ આપવામાં આવશે.
બીજો દિવસ, શ્રીનગર-પહેલગામ
શ્રીનગરમાં નાસ્તો કર્યા પછી બીજા દિવસે પ્રવાસીઓને પહેલગામની મુલાકાતે લઈ જવામાં આવશે. રસ્તામાં બેતાબ ખીણ, અવંતીપુરા ખંડેર, ચંદનવાડી અને અરુ ખીણની મુલાકાત પણ લઈ શકાશે. આ રીતે, પ્રવાસી કુદરતી સૌંદર્ય નો પણ આનંદ માણી શકશે. જો પ્રવાસીઓ અહીં ટટ્ટુ સવારી નો આનંદ લેવા માંગશે , તો તે સ્વખર્ચે કરવાનું રહેશે. પહેલગામમાં જ રાત્રિભોજન અને રાત્રી રોકાણ ની વ્યવસ્થા કરવામાં આવશે.
ત્રીજો દિવસ, પહેલગામ – ગુલમર્ગ – શ્રીનગર
સવારના નાસ્તા પછી, પ્રવાસીઓ ગુલમર્ગ તરફ પ્રયાણ કરશે. રસ્તામાં ફૂલો ના ખેતરોનો આનંદ માણી શકશે. જો પ્રવાસી ગુલમર્ગમાં સ્થાનિક સ્થળોનો આનંદ માણવા માટે ગોંડોલા પર સવારી કરવા ઈચ્છશે, તો તે સ્વખર્ચે કરવું પડશે. ત્યારબાદ શ્રીનગર પરત ફરવાનું રહેશે, રાત્રિભોજન અને રોકાણની વ્યવસ્થા શ્રીનગરની એક હોટલમાં કરવામાં આવશે.
ચોથો દિવસ, શ્રીનગર – સોનમાર્ગ – શ્રીનગર
સવારનો નાસ્તો કર્યા પછી, પ્રવાસીઓને શ્રીનગર થી સોનમાર્ગ લઈ જવામાં આવશે. શિયાળા દરમિયાન અહીંના પર્વતો બરફ ની સફેદ ચાદરથી ઢંકાય જાય છે. પ્રવાસીઓ ઈચ્છે તો થાજીવાસ ગ્લેશિયર સુધી મુસાફરી કરવા માટે ટટ્ટુ ભાડે રાખી શકે છે, જે ઉનાળા દરમિયાન મુખ્ય આકર્ષણ છે. ત્યારબાદ, શ્રીનગર પરત ફરવાનું રહેશે, રાત્રિભોજન અને રોકાણ ની વ્યવસ્થા શ્રીનગરની એક હોટલમાં કરવામાં આવશે.
પાંચમો દિવસ, શ્રીનગર
નાસ્તા પછી શ્રીનગરના સ્થાનિક સ્થળો જેમ કે મુગલ ગાર્ડન, નિશાત બાગ, શાલીમાર ગાર્ડન વગેરે ની મુલાકાત લેવામાં આવશે. આ મુલાકાત બાદ દાલ તળાવ ના કિનારે આવેલા પ્રખ્યાત હઝરતબાલ તીર્થ ની મુલાકાત પણ લઈ શકાય છે. સાંજે પ્રવાસીઓ ઈચ્છે તો શ્રીનગરમાં ખરીદીનો આનંદ માણી શકે છે. ત્યારબાદ, નક્કી કરેલી હોટલમાં પરત ફરવાનું રહેશે.
છઠ્ઠા દિવસે, મુંબઈ માટે રવાના
સવારે નાસ્તો કર્યા બાદ પ્રવાસીઓને ઘણો સમય મળશે. આ પછી હોટેલમાંથી ચેક આઉટ કરવાનું રહેશે અને પછી સાંજે ૫:૩૫ વાગ્યે શ્રીનગર એરપોર્ટ પર થી મુંબઈની ફ્લાઇટ પકડવાની રહેશે.