યુક્રેનથી વિદ્યાર્થીની લાશ લાવવા પર BJP MLAએ કહ્યું કે, એક શબપેટી જેટલી જગ્યામાં 8-10 લોકો બેસી જશે
યુક્રેન પર રશિયાના હુમલા બાદ હજારો ભારતીયો ત્યાં ફસાયેલા છે. આ લોકોની સામે પોતાનો જીવ બચાવીને ભારત પરત ફરવું એ એક મોટો પડકાર છે. આ પ્રયાસમાં રોકાયેલા કર્ણાટકના મેડિકલ સ્ટુડન્ટ નવીનના મૃત્યુથી તેનો પરિવાર આઘાતમાં છે. આવી સ્થિતિમાં, કર્ણાટકના હુબલી-ધારવાડના બીજેપી ધારાસભ્ય અરવિંદ બેલાડે એક નિવેદન આપ્યું છે. બીજેપી ધારાસભ્યએ કહ્યું કે વિમાનમાં એક શબપેટી રાખવાને બદલે આઠથી દસ લોકો બેસી શકે છે. બીજેપી ધારાસભ્યએ કહ્યું કે એક ડેડ બોડી વિમાનમાં વધુ જગ્યા રોકે છે.
નવીનનો મૃતદેહ તેમના વતન હાવેરીમાં લાવવા અંગે પૂછવામાં આવતા ધારાસભ્ય બેલાડે આ વાત કહી હતી. આ અંગે બેલાડે પત્રકારોને જણાવ્યું હતું કે સરકાર નવીનના મૃતદેહને પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે. યુક્રેન એક યુદ્ધ ક્ષેત્ર છે અને દરેક તેના વિશે જાણે છે. પ્રયાસો ચાલુ છે અને શક્ય હશે તો નવીનનો મૃતદેહ પરત લાવવામાં આવશે. બેલાડે કહ્યું કે જીવિતોને પાછા લાવવું ખૂબ જ પડકારજનક છે, જ્યારે મૃતકોના મૃતદેહોને પાછા લાવવા એ તેનાથી પણ વધુ મુશ્કેલ છે. કારણ કે મૃતદેહનું કોફીન પ્લેનમાં વધુ જગ્યા રોકશે. તેના બદલે આઠથી 10 લોકોને બેસાડ્યા બાદ પરત લાવી શકાય છે. બીજેપી ધારાસભ્ય બેલાડે પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવીનના મૃતદેહને પરત લાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે.
જ્યારે નવીનના પિતા શેખરપ્પા જ્ઞાનેગૌડાએ મીડિયાને જણાવ્યું કે સરકાર દ્વારા તેમને ખાતરી આપવામાં આવી છે કે નવીનનો મૃતદેહ બે દિવસમાં ઘરે પરત લાવવામાં આવશે. તેમણે કહ્યું કે તેમણે પીએમ નરેન્દ્ર મોદી અને કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ બંનેને વિનંતી કરી છે કે તેઓ તેમના પુત્રના મૃતદેહને ઘરે લાવવામાં મદદ કરે. ઉલ્લેખનીય છે કે, 21 વર્ષીય નવીન ખાર્કિવ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. જ્યારે તે સરકારી ઇમારત પર રશિયન ગોળીબારમાં માર્યો ગયો ત્યારે તે ખોરાક ખરીદવા માટે કરિયાણાની દુકાનની બહાર કતારમાં હતો. તેના રૂમમેટના કહેવા પ્રમાણે, તે અન્ય વિદ્યાર્થીઓ સાથે બંકરમાં રહેતો હતો. મંગળવારે, નવીન યુક્રેનિયન બોર્ડર પર ટ્રેન પકડતા પહેલા ખોરાકનો સ્ટોક કરવા બહાર ગયો હતો.