રેલ્વેમાં 3000થી વધુ જગ્યાઓ માટે બહાર પડી છે ભરતી, તમે અરજી કરી કે નહીં ?
કોરોના કાળમાં અનેક લોકોને પોતાના ધંધા રોજગાર બંધ કરવા પડ્યા છે અને અનેક લોકો એવા છે જેમની નોકરી પણ છૂટી ગઈ છે. આવી સ્થિતિમાં દેશમાં ભણેલા ગણેલા લોકો પણ બેકાર થયા છે. નોકરીમાંથી હાથ ધોવાનો વારો ભલભલા ડીગ્રીવાળા લોકોને આવ્યો છે તેવામાં 10 ધોરણ પાસ કરેલા લોકો માટે સરકારી નોકરી કરવાની તક સામે આવી છે.
ઓછું ભણેલા હોય અને તેમ છતાં સરકારી નોકરી મેળવવા માંગતા યુવાનો માટે સારા સમાચાર છે. ઉત્તર રેલવેએ એપ્રેન્ટિસની હજારો જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ માટે ઓનલાઈન અરજી કરવાની તારીખ 20 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે. આ નોકરી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર 2021 છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આરઆરસી નોર્ધન રેલવેની વેબસાઇટ પર જઈને નોકરી માટે અરજી ફોર્મ ભરી શકે છે. રેલ્વેમાં કારકિર્દી બનાવવા આઈટીઆઈ કરનારા યુવાનો માટે આ એક મોટી તક છે. રેલ્વેમાં હાલ કુલ 3093 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે.
રેલ્વે વિભાગમાં એપ્રેન્ટિસની આ 3093 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર છે. નોકરી પાત્ર ઉમેદવારોએ 20 ઓક્ટોબરે સાંજે 5:00 વાગ્યા સુધીમાં પોતાની અરજી જમા કરાવવી પડશે. આ પછી અરજી ફોર્મ ભરવાની લિંક નિષ્ક્રિય થઈ જશે.
શું છે શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા ?
નોકરી કરવા ઈચ્છુક ઉમેદવારોએ કોઈપણ માન્ય સંસ્થામાંથી આઈટીઆઈ ડિપ્લોમા કોર્સ પૂર્ણ કરેલો હોવો જોઈએ. આવા યુવાનો એપ્રેન્ટિસની આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. ઉંમરની વાત કરીએ તો ઉમેદવારોની ઓછામાં ઓછી ઉંમર 15 વર્ષ અને મહત્તમ ઉંમર 24 વર્ષની હોવી જોઈએ. વય મર્યાદામાં કેટલીક છૂટછાટ પણ છે જેના નિયમો સત્તાવાર વેબસાઈટ પર મુકવામાં આવી છે.
ફી કેટલી છે ?
આ નોકરી માટે અરજી કરનાર ઉમેદવારોએ 100 રૂપિયા ફી ચૂકવવી પડશે. જો કે SC, ST, દિવ્યાંગ અને મહિલા ઉમેદવારો માટે ફી રાખવામાં આવી નથી.
ઉમેદવારોનાં ગુણને જોડીને મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે. જેઓ આ મેરિટ યાદીમાં સ્થાન મેળવશે તેમના જમા કરાવેલા દસ્તાવેજની ચકાસણી થશે અને તેમને રુબરુ બોલાવવામાં આવશે. જેઓ પ્રક્રિયા પૂર્ણ કરશે તેમની પસંદગી નોકરી માટે કરવામાં આવશે.ખાસ વાત એ છે કે આ પસંદગી પ્રક્રિયામાં કોઈપણ પરીક્ષા લેવામાં આવશે નહીં. પરીક્ષા વિના જ યોગ્ય ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.