રથયાત્રામાં ભગવાનની સાથે રૂકમણી કે રાધાનો રથ કેમ નથી હોતો? રહસ્યમય કહાની જાણીને ખરેખર નવાઈ લાગશે
ભક્તો માટે આજે સારા સમાચાર એ છે કે અમદાવાદ શહેરમાં કોરોનાની વચ્ચે આજે બે વર્ષના અંતરાલ બાદ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા નીકળી છે. સવારે 4 વાગ્યાથી મંગળા આરતીથી પરંપરાગત વિધિ શરૂ થઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદિર પરિસરમાં સોનાની સાવરણી સાથે પરંપરાગત રીતે પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારે આજે રથયાત્રાને લઈ કંઈક અનોખી જ વાત તમારી સાથે કરવી છે. વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના અલગ-અલગ રથોમાં વિરાજિત કરીને નગર ભ્રમણ કરવાની પરંપરા ચાલી રહી છે.
પરંતુ તમે સૌ ભક્તોએ ક્યારેય એ વિચાર્યું કે શ્રીકૃષ્ણની સાથે જ રાધા કે રુક્મણીનો રથ શા માટે નથી હોતો ? તેનો જવાબ હિન્દુ પૌરાણિક કથાઓમાં મળે છે અને આજે એ જ વાત તમારી સાથે કરવી છે. કહેવાય છે કે એકવાર દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ રાત્રિ દરમિયાન સૂઈ રહ્યા હતા. સાથે જ નજીકમાં રુક્મણી પણ સૂઈ રહ્યા હતા. નિદ્રા દરમિયાન શ્રીકૃષ્ણએ રાધાનું નામ લીધું અને આ સાંભળીને રુક્મણી અચંભિત થઈ ગઈ.
ત્યારબાદ એવું બન્યું કે સવાર થતા જ રુક્મણીએ આ વાત અન્ય પટરાણીઓને પણ કહી અને કહ્યું કે આપણી આટલી સેવા, પ્રેમ અને સમર્પણ પછી પણ સ્વામી રાધાને યાદ કરવાનું ભૂલતા જ નથી. આ બન્યું ત્યારે ભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા. ત્યારે કૃષ્ણ ભગવાનની 16108 રાણીઓએ રોહિણી માતાને એટલે કે બલરામની માતાને પુછ્યુ કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છે છતા કૃષ્ણ ભગવાન આખો દિવસ રાધાનુ નામ કેમ લીધા કરે છે.
આ પ્રશ્ન સાંભળી રોહિણી માતા બોલ્યા કે જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમા ના પ્રવેશે તો હું કહું. રાણીઓએ વિચાર કરીને સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઉભા રાખ્યા અને કહ્યુ કે કોઇને અંદર પ્રવેશવા ના દેતા. પછી રોહિણી માતાએ કથા ચાલુ કરી. સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયુ કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઉભા છે.
પછી એવું બને છે કે કૃષ્ણ અને બલરામ રાજમહેલમા પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા. તો કૃષ્ણ અને બલરામ પોતે પણ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેના હાથ અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો પણ મોટી થવા લાગી. ત્યારે કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયુ કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ તો સંકોચાઇ રહ્યા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી.
ત્યારબાદ એવું બન્યું કે નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારુ આ રૂપ જગતને બતાવો. તો કૃષ્ણ ભગવાનએ નારદ મુનિને આ રૂપ ત્રેતાયુગમાં જગતને બતાવવાનુ વચન આપ્યું. આ કારણ છે કે ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓમાં ભગવાન જગન્નાથે શ્રીકૃષ્ણ અને રાધાને દિવ્ય યુગલ સ્વરૂપ માનીને તેમની સાથે જ ભાઈ બલભદ્ર અને સુભદ્રાની અધુરી બનેલી કાષ્ઠ અર્થાત્ લાકડાની મૂર્તિઓની સાથે રથયાત્રા કઢવાની પરંપરા છે.
જો આ વખતની વાત કરીએ તો રાજ્ય સરકારે રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ લગાવી રથયાત્રા યોજવા મંજૂરી આપી દીધી છે. ગત વર્ષે ભગવાનના રથ માત્ર મંદિર પરિસરમાં જ ફર્યા હતા. પરંતુ આ વર્ષે કોરોના કેસ ઓછા હોવાથી પરંપરાગત રૂટ પર રથયાત્રા યોજવાની મંજૂરી મળી છે. જે રૂટ પરથી રથ નીકળશે તે તમામ રૂટ પર કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. માત્ર પાંચ કલાકમાં 22 કિ.મીના રૂટ પર ફરીને ભગવાનના રથ નિજ મંદિરમાં પરત ફરશે અને રથયાત્રા સંપન્ન થશે.