નવી ટેકનોલોજીનો સૌ પ્રથમ સોમનાથ મંદિરે પ્રારંભ, જાણો શું છે આ પ્રોજેક્ટ અને ભક્તોને શું થશે લાભ
12 જ્યોર્તિલિંગમાં પ્રથમ અને લાખો ભકતોની આસ્થાના કેન્દ્ર એવા સોમનાથ મંદિરની શાનમાં ચાર ચાંદ લાગવા જઈ રહ્યા છે. અહીં સમયાંતરે ટ્રસ્ટ દ્વારા એવા પગલા ભરવામાં આવતા રહે છે જેના કારણે ભક્તોને દર્શનની સુવિધામાં વધારો થાય અને તેમને દર્શન કર્યાનો આહલાદક અનુભવ વધુ સારી રીતે થાય. સામાન્ય દિવસોમાં પણ સોમનાથ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય છે. તેવામાં કોઈપણ ભક્તને તકલીફ ન પડે તે વાતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
તેવામાં હવે જે ભક્તો મંદિરે આવી દર્શન કરી શકતા નથી તેમના માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થાનો પ્રારંભ થઈ જતા ભક્તો ઘર બેઠા પણ સોમનાથ મંદિરે સોમનાથ દાદાના સાક્ષાત દર્શન કર્યાનો અને સોમનાથનું પરીભ્રમણ કર્યાનો અનુભવ કરી શકશે. આ વ્યવસ્થાના કારણે દુનિયાના કોઈપણ દેશમાં વસતા સોમનાથ દાદાના ભક્તને સોમનાથ આવ્યાની અનુભૂતિ થશે.
સોમનાથ મંદિર ખાતે 3- way digital VR ટેક્નોલોજી શરુ કરવામાં આવનાર છે. આ ટેકનોલોજી શરુ થઈ જતાં ભક્તો તેમના ફોન, લેપટોપ કે ટેબલેટ પર એક ક્લિકમાં જ મંદિર પરિસરમાં હોવાનો અનુભવ કરી સોમનાથ દાદાના દર્શન કરી શકશે.
આ ટેકનોલોજી મંદિરનું 360 ડિગ્રી વર્ચ્યુઅલ ટૂર અને હાઈ-ક્વોલિટી વિડીયો ભક્તોને જોવા મળશે. કોરોના જેવી સ્થિતિમાં અથવા તો જે લોકો વિદેશમાં છે અને કોઈ ખાસ દિવસે દર્શન માટે આવી શકે તેમ નથી તેમને આ ટેકનોલોજી મંદિરના પરીભ્રમણનો અનુભવ કરાવશે અને તેઓ ઘરે બેઠા બેઠા મંદિર સાથે કનેક્ટ થઈ શકશે.
ભક્તો ડિજીટલી મંદિરને અનોખી રીતે એક ક્લિક પર ફોન, લેપટોપમાં જોઈ શકશે. આ રીતે સોમનાથ વિશે જાણવા ઈચ્છતા લોકોને પણ માહિતી વધુ સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ટેકનોલોજી વડે મંદિરનો તમામ ડેટા પણ સંગ્રહ કરવામાં આવ્યો છે જે પણ ભક્તો સુધી સરળતાથી પહોંચી શકશે. આ ટેકનોલોજીનો ઉપયોગ આગામી સમયમાં ડિજિટલ મ્યુઝિયમ, એરપોર્ટમાં પણ કરવામાં આવશે.
ખાસ ધ્યેય સાથે સોમનાથ મંદિરના ડિજિટલ પ્રમોશન અને સંરક્ષણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વાત કહેવામાં આવી છે ગુજરાતના યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા. સોમનાથ ટ્રસ્ટ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રકારનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટથી સોમનાથ મંદિરની શાનમાં વધારો થશે તે નક્કી છે.