વિશ્વમાં ક્યારે ખતમ થશે કોરોનાનો કહેર? વૈજ્ઞાનિકોએ આપી માહિતી
દોઢ વર્ષ કરતા પણ વધુ સમયથી સમગ્ર વિશ્વમાં ચાલી રહેલા કોરોના સંક્રમણને કારણે બધું અસ્તવ્યસ્ત બની ગયું છે. અભ્યાસથી લઈને કામ, વ્યવસાયથી નોકરી સુધી, કોરોનાએ તમામ ક્ષેત્રોને ગંભીર રીતે અસર કરી છે. આવી સ્થિતિમાં, દરેકના મનમાં એક જ સવાલ છે, કોરોના ક્યારે સમાપ્ત થશે? કોરોના સાથે લડવા માટે વિશ્વભરમાં રસીકરણની ગતિ ઝડપી કરવામાં આવી છે. જો કે, રસીની અસરકારકતા વિશેના સમાચાર પણ એકદમ ગૂંચવણમાં મૂકે છે. કેટલાક અહેવાલોમાં, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રસીઓ કોરોના સામે રક્ષણ આપવા માટે અસરકારક છે, જ્યારે કેટલાક અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે રસીકરણના થોડા મહિનામાં જ શરીરમાં એન્ટિબોડીઝનું સ્તર ઘટવા લાગે છે. તો શું કોરોના લાંબા સમય સુધી ચાલુ રહેશે? અથવા હવે લોકોને વધારે ચિંતા કરવાની જરૂર નથી?
જો તમે આગામી છ મહિના અથવા એક વર્ષમાં કોરોનાથી છુટકારો મેળવવાનું વિચારી રહ્યા છો, તો બંધ કરો. વૈજ્ઞાનિકો કોરોનાનો કહેર આટલો જલ્દી સમાપ્ત થઈ જશે તેવુ માનતા નથી. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શિયાળાની શરૂઆતમાં કોરોનાની ત્રીજી લહેરનો પ્રકોપ વિશ્વના મોટાભાગના ભાગોમાં જોવા મળી શકે છે. અભિપ્રાય શું છે?
ક્યાં સુધી કહેર ચાલુ રહેશે?
મિનેસોટા યુનિવર્સિટીના સેન્ટર ફોર ઇન્ફેક્શિયસ ડિસીઝ રિસર્ચ એન્ડ પોલિસીના ડિરેક્ટર અને યુએસ પ્રેસિડેન્ટ જો બાઈડેનના સલાહકાર માઇકલ ઓસ્ટરહોલ્મ કહે છે કે કોરોના સંકટ આટલી જલદી દુનિયામાંથી સમાપ્ત થાય તેવું લાગતું નથી. તેમા સતત વધરો થવાની શક્યતા છે. હાલમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જોકે ઘણા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વર્ષના અંત સુધીમાં શિયાળો શરૂ થતાં જ કોરોનાના કેસોમાં વધુ એક ઉછાળો આવી શકે છે. જો કે, રસીકરણ ચેપની તીવ્રતા ઘટાડવામાં મદદ કરે તેવી અપેક્ષા છે.
કોરોનાના કેસો વધી શકે છે
માઈકલ ઓસ્ટરહોલ્મનું કહેવું છે કે કોરોનાના કેસ ઓછા થતાં જ વ્યવસાયો અને શાળાઓ ફરી ખુલી ગઈ છે. આ બધાની વચ્ચે, વિશ્વભરના અબજો લોકોને હજુ સુધી રસી આપવામાં આવી નથી. જેમ જેમ કોરોનાના નવા વેરિઅન્ટના કેસ બહાર આવી રહ્યા છે, એવું લાગે છે કે આગામી મહિનાઓમાં કોરોનાના કેસો ફરી એકવાર વધી શકે છે.
ચેપ ચાલુ રહી શકે છે
માઇકલ ઓસ્ટરહોમ કહે છે કે રસીકરણની ઝડપ વધારીને ચેપનો દર ઘટાડી શકાય છે. જો કે, તમારી આસપાસ હંમેશા એવા લોકો હશે કે જેમાં ચેપનું જોખમ રહે છે. સામાન્ય રીતે જે લોકો કેટલાક કારણોસર રસી લઈ શક્યા નથી જેમ કે નવજાત. આવા લોકો અન્ય લોકો માટે જોખમ ઉભું કરી શકે છે. કોરોનાનો આ કહેર કેટલા મહિનાઓ કે વર્ષો સુધી ચાલુ રહેશે તે અંગે સ્પષ્ટપણે કહી શકાય નહીં, જોકે ચોક્કસપણે કહી શકાય કે અત્યારે કોરોનાનો અંત આવતો જણાતો નથી.
આગામી મહિનાઓમાં પરિસ્થિતિ કેવી રહેશે?
માઇકલ ઓસ્ટરહોલ્મ કહે છે કે આગામી કેટલાક મહિના મુશ્કેલ રહેશે. આનું મુખ્ય કારણ કોરોનાના એવા વેરિએન્ટનો ઉદભવ છે જે શરીરમાં કુદરતી રીતે બનેલી પ્રતિરક્ષાને દૂર કરી શકે છે. એવા ઘણા દેશો છે જ્યાં મોટી સંખ્યામાં લોકોને રસી આપવાની બાકી છે. ઓસ્ટરહોલ્મ કહે છે, “કોરોના આગળ કેટલો ખતરનાક હશે તે વિશે કંઇ કહી શકાય નહીં, પરંતુ તે નિશ્ચિત છે કે કોરોનાવાયરસને કારણે લાગેલી જંગલની આગ આટલી જલદી ઓલવાય તેવું લાગતું નથી.” કદાચ જ્યાં સુધી બધા લોકો રસીથી સુરક્ષિત ન થાય, અથવા બધા લોકોને કોરોના ચેપ ન લાગે.