ગુજરાતમાં ફરીથી વરસાદની મહેરઃ હવામાન વિભાગે વરસાદને લઈને આટલા વિસ્તાર માટે આપ્યું એલર્ટ
સપ્ટેમ્બર પુરો થતા સુધીમાં વરસાદે ફરી એકવાદ ધમાકેદાર એન્ટ્રી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કરી હતી. છેલ્લા 12 કલાકમાં આ વિસ્તારોમાં સરેરાશ 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ જાબુંઘોડામાં 6 ઈંચ જ્યારે બોડેલી, પાવી જેતપુરમાં 5-5 ઈંચ વરસાદ થયો હતો. આ વરસાદના કારણે તાલુકા પાણી પાણી થયા હતા.
છેલ્લા 12 કલાકમાં રાજ્યના પંચમહાલ, છોટાઉદેપુર વલસાડ, ભરૂચ, વડોદરા, નર્મદા, સુરત સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં સરેરાશ 3થી 6 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. તેવામાં હવામાન વિભાગે હજુ પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેને પગલે તંત્ર દ્વારા સાવચેતીના પગલા તરીકે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને અલગ અલગ જિલ્લાઓમાં મોકલવામાં આવી છે.
છેલ્લા 12 કલાકમાં થયેલો વરસાદ
જાંબુઘોડામાં 6 ઈંચ
બોડેલીમાં 5 ઈંચ
જેતપુરપાવીમાં 5 ઈંચ
કવાટમાં 3 ઈંચ
કપરાડામાં 5 ઈંચ
ધરમપુરમાં 4 ઈંચ
વાલિયામાં સાડા 3 ઈંચ
વાઘોડિયામાં 3 ઈંચ
ડેડીયાપાડા 3 ઇંચ
મહત્વનું છે કે ભારે વરસાદની આગાહીના પગલે વેધર વોચ ગ્રુપની એક બેઠક મળી હતી અને તેમાં લેવાયેલા નિર્ણય મુજબ આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, નવસારી, સુરત, વલસાડ અને ડાંગ જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે અને સાથે જ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને આ જિલ્લાઓમાં રવાના કરવામાં આવી છે.
ભારે વરસાદના કારણે વડોદરા જિલ્લામાં બે વ્યક્તિના મોત પણ નીપજ્યા હતા જેમાં એક વ્યક્તિ હાલોલ તાલુકાના શિવરાજપુરના હતા. 50 વર્ષીય વ્યક્તિ પાણીમાં તણાઈ ગયા હતા જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું જ્યારે ગોધરા તાલુકાના વાડેલાલ ગામના એક વ્યક્તિનું દિવાલ પડતા મોત થયું હતું. અહીં વિજળી પડવાથી દિવાલ ધરાશાયી થઈ હતી અને તેમાં મોત થયું હતું.
જો કે સપ્ટેમ્બરમાં થઈ રહેલા વરસાદને પગલે ખેડૂતોને કપાસ, મગફળી સહિતના પાકોને નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે.