કોરોનાએ તો માણસને કોણ જાણે કેવો બનાવી દીધો, વપરાયેલા ગ્લોવ્ઝ ધોઈ ધોઈને વેચવાનું ય હવે બાકી નથી રાખ્યું.
છેલ્લા દોઢ વર્ષ કરતા પણ વધુ સમયથી કોરોનાએ સમગ્ર દુનિયામાં પોતાના પ્રકોપથી માણસને હેરાન પરેશાન કરી મુક્યો છે. અત્યાર સુધી કેટલાય લોકો આ જીવલેણ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને કઈ કેટલાય લોકોને આ કોરોના ભરખી ગયો છે.
આવા કપરા સમયમાં એક તરફ કેટલાય લોકો એવા છે કોરોનાના સંક્રમણ વચ્ચે માનવતાની સુવાસ ફેલાવી રહયા છે, રોજેરોજ ઘણા બધા લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે અને બીજી તરફ કેટલાક એવા લોકો પણ છે જેમણે પૈસા કમાવવા માટે જાણે માનવતાને નેવે જ મૂકીને બધી જ હદ વટાવી દીધી છે.
આવો જ એક કિસ્સો દેશની રાજધાની દિલ્હીમાં સામે આવ્યો છે. દેશની રાજધાની દિલ્લીમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે વપરાયેલા ગ્લોવ્ઝ ધોઈ ધોઈને ફરી આ ગ્લોવ્ઝ વેચવાનુ કૌભાંડ પકડાયુ છે. દિલ્લીના દ્વારકા વિસ્તારમાંથી પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસે આરોપ લગાવ્યો છે કે,તેઓ વપરાયેલા ગ્લોવ્ઝ ધોઈને ફરી વેચતા હતા. પોલીસે જણાવ્યું છે કે આ ગેંગ પાસેથી 848 કિલો ગ્લોવ્ઝ પણ પકડાયા છે.
તમને જણાવી દઈએ કે વપરાયેલા ગ્લોવ્ઝ ધોઈ ધોઈને વેંચતા આરોપીઓએ ખુલાસો કર્યો હતો કે, આ ત્રણે વ્યક્તિઓએ ભંગાર માર્કેટ અને હોસ્પિટલમાંથી ગ્લોવ્ઝ ખરીદયા હતા અને આ કામમાં એક બિઝનેસમેને પણ તેમની મદદ કરી હતી. પોલીસે એમને મળેલી બાતમીના આધારે બે ગોડાઉન પર દરોડો પાડ્યો હતો અને ત્યાંથી 848 કિલો વપરાયેલા ગ્લોવ્ઝ કબ્જે કર્યા હતા.
આ સમગ્ર મામલે પોલીસનુ કહેવુ છે કે, આ સમગ્ર ઘટનાના આરોપીઓ આ ગ્લોવ્ઝને ફરી પેકેટમાં પેક કરીને સસ્તા ભાવે ફેક્ટરીઓ, હોટલો અને સલૂનોમાં વેચતા હતા. આ વપરાયેલા ગ્લોવ્ઝનું પેકિંગ પણ એ રીતે કરાતુ હતુ કે, કોઈને ખબર ના પડે કે આ વપરાયેલા ગ્લોવ્ઝ છે. આ ત્રણએ આરોપીઓ મનીષ, અરુણ અને શ્રીનિવાસનની સામે અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો નોંધ્યો છે.
હાલ આ આરોપીઓને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર જામીન અપાયા છે એવું પોલીસે જણાવ્યું છે. આ પહેલા ગાઝિયાબાદમાં પણ વપરાયેલા ગ્લોવ્ઝ પોલીસે કબ્જે કર્યા હતા અને તે વખતે પણ ગ્લોવ્ઝને ધોઈને ફરી બજારમાં વેચવાનો ગોરખધંધો સામે આવ્યો હતો. આ મામલામાં પોલીસે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી હતી.