ચોમાસાના આગમન બાદ વરસાદને લઈને સૌથી મોટા સમાચાર
ગુજરાતમાં ચોમાસુ બેસી ગયું છે અને રાજ્યમાં ઠેર ઠેર છૂટા છવાયા વરસાદની શરુઆત પણ થઈ ચુકી છે. રાજ્યમાં નૈઋત્યનું ચોમાસુ આગળ વધે અને વરસાદ વરસે તેવી કોઈ સિસ્ટમ એકિટવેટ નથી. તેમ છતાં ગુજરાતના 20થી વધુ જિલ્લાના ત્રણ તાલુકામાં સામાન્યથી લઈ 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સૌરાષ્ટ્ર કરતાં આણંદ, ખેડા, મહેસાણા અને અમદાવાદ જિલ્લામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર્રમાં વરસાદનું પ્રમાણ નહિવત રહ્યું છે. ત્યારે વરસાદની આગાહી માટે જાણીતા એવા અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે.
તેમના જણાવ્યાનુસાર હાલ સૂર્યનું મૃગશીર્ષ નક્ષત્ર ચાલે છે. આ નક્ષત્ર બેસતા હિંદ મહાસાગરમાં પવનની દિશા બદલાય છે. તેના કારણે દરિયામાં તથા દેશના અંતરિયાળ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ થાય તેવી ધારણા વ્યક્ત કરે છે. મૃગશીર્ષ નક્ષત્રમાં વાવણી પણ કરવી સારી ગણાય છે.
આ નક્ષત્રમાં મહાસાગરના પૂર્વ કાંઠા તરફ તેજ પવન ફુંકાવો અને દેશના અંદરના ભાગમાં વરસાદ, વાદળનું તોફાન થાય અને ત્યારબાદ ચોમાસુ જોર પકડશે. આ માટે પણ મૃગશીર્ષ નક્ષત્રમાં પવન ફુંકાય તે જરૂરી છે.
આ વર્ષે ચોમાસામાં ખેડૂતોએ ચિંતા કરવી જોઈએ નહીં. તેમ અંબાલાલ પટેલે જણાવ્યું હતું. રાજ્યના વરસાદની વાત કરીએ તો 17 જૂનથી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ નોંધાવા લાગશે. 21 અને 22 જૂને વરસાદનું જોર થોડું વધશે. રાજસ્થાન તેમજ ઉત્તર પ્રદેશમાં પણ વરસાદ થવાની શક્યતા છે. ત્યારબાદ વાતાવરણ શાંત રહેશે અને 29 જૂન બાદ જુલાઈ માસ દરમિયાન પણ સારો વરસાદ થશે.
જૂન માસના અંત બાદ જુલાઈની શરુઆતમાં અને ખાસ કરીને 13 જુલાઈ પછી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં સારો એવો વરસાદ નોંધાશે. એટલે હાલ જો વરસાદ નથી તો તેનાથી ચિંતા કરવાની જરૂર નથી. 20 જૂન બાદથી રાજ્યમાં મેઘરાજા મહેર વરસાવશે તે નક્કી છે.
વરસાદની આગાહી માટે જાણીતા એવા અંબાલાલ પટેલનું કહેવું છે કે આ વર્ષે જૂન માસના અંત સુધીમાં ચોમાસું સક્રિય થશે અને ત્યારબાદ સારો વરસાદ નોંધાશે. જે ખેડૂતો માટે લાભકારી હશે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુરુવારે બપોર બાદ રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે અને અનેક જિલ્લામાં વરસાદ નોંધાઈ શકે છે. આ સાથે જ દેશમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. ગુરુવાર બાદ આગામી 3થી 4 દિવસો સુધી ઉત્તર પ્રદેશમાં પણ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.