અમદાવાદ હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોનો મોટો નિર્ણય, No Vaccine No Entry
ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા અને તહેવારોની સિઝનને જોતા અમદાવાદ શહેરમાં હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોએ એક મહત્વનો નિર્ણય લીધો છે, જે અતર્ગત વૅક્સિન લીધેલ નહીં હોય તેને હોટેલમાં પ્રવેશ આપવામાં નહીં આવે. નોંધનિય છે કે, આ પહેલા અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનને AMC સંચાલિત જાહેર સ્થળો પર રસી લીધા વિના લોકોને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કર્યો હતો. આ નવા નિયમ બાદ રસીકરણમાં તેજી આવશે તેવુ જાણકારો માની રહ્યા છે.
આ નવા નિર્ણય અંગે હોટલ એન્ડ રેસ્ટોરન્ટ ગુજરાત દ્વારા શહેરની તમામ હોટલ અને રેસ્ટોરન્ટને પત્ર લખીને જાણ કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, શહેર હોટલ અને રેસ્ટોરન્ટમાં પ્રવેશ માટે વૅક્સિનેશનનું સર્ટિફિકેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. તેથી હવે દરેક હોટલ અને રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને વૅક્સિનેશનના સર્ટિફિકેટની તપાસ કરીને જ એન્ટ્રી આપવામાં આવશે. જેથી શહેરમાં તમામ લોકોએ હોટેલમાં જતા પહેલા પોતાના મોબાઈલમાં વેક્સિન સર્ટિફિકેટ રાખવું જરૂરી છે નહીં તો પ્રવેશ નહીં મળે.
તમને જણાવી દઈએ કે, આ પત્રમાં વધુમાં જણાવાયું છે કે, આગામી સમયમાં તહેવારોની સિઝન આવી રહી છે અને નિષ્ણાતો દ્વારા ત્રીજી લહેરની ચેતવણી પણ આપવામા આવી રહી છે. જો રાજ્યમાં કોરોનાની સ્થિતિ ફરી ભયંકર બને તો ફરીથી લોકડાઉનની પરિસ્થિતિ ઉભી થશે, જેથી લોકોના વેપાર ધંધા ફરીથી ઠપ્પ થઈ જશે. જેથી આપણે જવાબદારી સ્વીકારી વૅક્સિનનો ડોઝ ના લીધો હોય, તેવા વ્યક્તિને આપણી હોટલ કે રેસ્ટોરન્ટમાં પ્રવેશ આપતા રોકવા જોઈએ. આ ઉપરાંત હોટેલમાં કામ કરતા દરેક સ્ટાફે પણ વેક્સિન લઈ લેવી જોઈએ.
નોંધનિય છે કે આ પહેલા અમદાવાદ કોર્પોરેશનને લીધેલા નિર્ણય અંતર્ગત કોરોના વૅક્સિન ન લેનારા લોકોને શહેરના જાહેર સ્થળો જેવા કે, સાબરમતી રિવરફ્રન્ટ, કોર્પોરેશન સંચાલિત BRTS-AMTS બસોમાં પ્રવેશ ન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત કાંકરિયા ઝૂ, મનપા સંચાલિત કોઈ પણ લાઈબ્રેરી, જિમ્નેશિયમ, સ્વીમિંગ પૂલમાં પણ વૅક્સિન લીધા વિના એન્ટ્રી ન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત કોર્પોરેશનની તમામ કચેરીઓ અને સિવિક સેન્ટરોમાં પણ કોરોના વૅક્સિન વિના પ્રવેશ નહીં નો નિર્ણય લેવામાં આવ્યો હતો.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 26 નવા કેસ નોંધાયા છે. જ્યારે 19 દર્દી સાજા થયા છે. તો બીજી તરફ રાજ્યમાં સતત 20મા દિવસે કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી. તમને જણાવી દઈએ કે 20 સપ્ટેમ્બરે પહેલી અને બીજી લહેરના સૌથી ઓછા 8 કેસ નોંધાયા હતા. સૌથી વધુ 7 કેસ સુરત કોર્પોરેશનમાં નોંધાયા છે. જ્યારે 3 શહેર અને 26 જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી. તેમજ રાજ્યનો રિક્વરી રેટ 98.76 પર સ્થિર રહ્યો છે. તહેવારો પર લોકોને વધુ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.