અમદાવાદ બન્યું આ રોગનું એપી સેન્ટરઃ ગયા વર્ષની સરખામણીએ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગમાં અઢી ગણો ઉછાળો

ગુજરાતના સતત ધમધમતા અને સુંદર શહેરને જાણે રોગચાળાની નજર લાગી ગઈ હોય એમ એક પછી એક સમસ્યાઓ શહેરીજનોના માથે ભમી રહી છે. કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન પણ આ શહેર મહામારીનું હોટસ્પોટ બની ગયું હતું. તે સમયે પણ શહેરની હોસ્પિટલો દર્દીની સારવાર માટે ઓછી પડી રહી હતી. ત્યારે હવે કોરોનાના કેસ ઘટવાથી લોકોએ માંડ રાહત અનુભવી હતી ત્યાં ફરી રોગચાળો વકર્યો છે.

image source

અમદાવાદ શહેરમાં કોરોના શાંત પડ્યો છે તો તેણે જાણે ખો મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને આપી દીધી હોય તેમ શહેરમાં ચાલુ સપ્ટેમ્બર મહિના દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. જે આંકડા સામે આવ્યા છે તે શહેરમાં વધેલા રોગચાળાના 18 સપ્ટેમ્બર સુધીના છે. તેથી હવે તો તેનાથી પણ વધારે કેસ આ રોગના નોંધાઈ ચુક્યા હશે.

image source

શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે અને હોસ્પિટલો દર્દીઓથી ઊભરાવા લાગી છે. શહેરમાં 18 સપ્ટેમ્બર સુધીમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો આ આંકડા નીચે દર્શાવ્યાનુસાર છે.

  • ઝાડા-ઊલટીનાં કેસ 200થી વધુ
  • કમળાના કેસ 144
  • ટાઈફોઈડના 200થી વધુ
  • મેલેરિયાના રેસ 160થી વધુ
  • ઝેરી મેલેરિયાના 12 કેસ
  • ડેન્ગ્યૂના કેસ 427
  • ચિકનગુનિયાના 183 કેસ
image source

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન નોંધાયેલા ડેન્ગ્યૂના કેસની સરખામણીએ અઢી ગણાથી વધુ છે. આ જ રીતે આ વર્ષે ગત વર્ષ કરતાં ચિકનગુનિયાના કેસ અઢી ગણા, ઝાડા-ઊલટીના દોઢ ગણા, ટાઈફોઈડના કેસ દોઢ ગણા વધારે નોંધાયા છે.

image source

જે રીતે શહેરની હાલત છે તેને જોઈ અનુમાન છે કે આગામી દિવસોમાં આ રોગના કેસોમાં વધારો થવાની શક્યતા છે. કારણ કે શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ સતત વધી રહ્યો છે જેના કારણે ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના કેસોમાં ઉછાળો આવ્યો છે. જો કે મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળતા મહાપાલિકાના હેલ્થ વિભાગ દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં સ્પ્રે છંટકાવ કરવાની અને તળાવોની સફાઈ કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ સાથે વિવિધ વિસ્તારોમાં ફોગીંગ અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા સહિત પગલાં ભરવામાં આવ્યા છે.