ભટનેર કિલ્લો: જાણો રાજસ્થાનમાં આવેલા આ 1700 વર્ષ જુના કિલ્લા વિષે રોચક માહિતી
આપનો ભારત દેશ પ્રાચીન દેશ છે અને આ દેશમાં અનેક પ્રાચીન કિલ્લાઓ આજેપણ અડીખમ ઉભા છે. આ પૈકી કૈંટલાંય કિલ્લાઓ એવા છે જેનો ઇતિહાસ અને ભૂગોળ ઘણો જ રોચક છે અને તેને જોવા / જાણવા હજારોની સંખ્યામાં પર્યટકો આવતા જ હોય છે.

ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને એક એવા પ્રાચીન કિલ્લા વિષે જણાવવાના છીએ જે કિલ્લા પર ભારતના અન્ય કિલ્લાઓ પર કરાયેલા આક્રમણો કરતા વધુ આક્રમણો થયા હતા તેમ છતાં આ કિલ્લો હજુ પણ સલામત છે. તો ચાલો તેના વિષે વિસ્તારથી વાત કરીએ.
આ કિલ્લાનું નામ છે ” ભટનેર કિલ્લો ” અને તે રાજસ્થાનના હનુમાનગઢ ખાતે સ્થિત છે. આજથી લગભગ 1735 પહેલા એટલે કે 285 ઈસ્વી સનમાં ભાટી વંશના રાજા ભૂપતસિંહે આ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું અને આ કારણે જ કિલ્લાનું નામ ” ભટનેર કિલ્લો ” રાખવામાં આવ્યું હતું. જો કે આ કિલ્લાને શહેરના નામ એટલે કે ” હનુમાનગઢના કિલ્લા ” તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ 1805 માં બિકાનેરના રાજા સુરતસિંહે આ કિલ્લો ભાટી સમુદાયથી જીતી લીધો હતો.

પાકી ઈંટો અને ચુનાથી નિર્માણ પામેલા આ કિલ્લાને પ્રાચીન સમયનો સૌથી મજબૂત કિલ્લો માનવામાં આવતો. તૈમુરી રાજવંશના શાશક તૈમુરલંગે પોતાની આત્મકથા ” તુઝુક-એ-તૈમુરી ” માં આ કિલ્લાને ભારત દેશનો સૌથી મજબૂત કિલ્લો ગણાવ્યો છે. આ વિષે તેણે લખ્યું છે કે, ભટનેર જેવો મજબૂત કિલ્લો તેણે પોતાના જીવન દરમિયાન ક્યારેય નથી જોયો.

આ કિલ્લા પર અકબરથી લઈને પૃથ્વીરાજ ચૌહાણ સુધી કેટલાય શાસકોએ શાશન કર્યું છે. વિદેશી શાસકોની વાત કરીએ તો 1001 ઈસ્વીમાં મહમુદ ગઝનવી અને 13 મી સદીમાં ગુલામ વંશના શાસક બલબનના પિતરાઈ ભાઈ શેર ખાંએ પણ અહીં રાજ કર્યું હતું. શેર ખાંની કબર પણ આ કિલ્લામાં જ આવેલી છે. ત્યારબાદ 1398 માં આ કિલ્લો તૈમુરલંગના હવાલે થઇ ગયો.

52 જેટલા મિનાર ધરાવતા આ કિલ્લામાં અનેક મંદિરો પણ આવેલા છે અને શેર ખાં તથા શેરશાહ સુરીની કબર પણ આવેલી છે. કહેવાય છે કે આ કિલ્લામાં એક ભૂમિગત સુરંગ પણ બનાવવામાં આવી હતી જે ભટનેરથી ભટિંડા અને સિરસાના કિલ્લાઓ સુધી પહોંચતી હતી.