કઈ વેબસાઈટ પરથી થઈ રહ્યું છે ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન જાણો અને કરી લો પ્લાન
લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે ચાર ધામ યાત્રા માટે હાઇકોર્ટ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમુનોત્રી ધામમાં યાત્રાળુઓના સ્વાગતની જાહેરાત કરી હતી અને કહ્યું કે આ યાત્રા 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ જશે. ચાર ધામની સાથે હેમકુંડ સાહિબની યાત્રા પણ શનિવારથી જ શરૂ થશે.
જો કે આ વર્ષે તમારે ચાર ધામ યાત્રા પર જવું હશે તો કેટલાક જરૂરી અને ફરજિયાત કરવામાં આવેલા તેવા નિયમો વિશે જાણવું પડશે. સૌ પ્રથમ તમારે યાત્રાધામ જવા માટે પૂર્વ નોંધણી કરાવવી પડશે. કોરોના કાળમાં ચારધામ યાત્રા કરવા માટે શું કરવું જરૂરી છે અને તેના માટેની પ્રક્રિયા શું છે ચાલો જણાવીએ તમને પણ.
જો તમે ઉત્તરાખંડમાં તીર્થયાત્રા માટે જઇ રહ્યા છો તો તમારે દેવસ્થાનમ બોર્ડની વેબસાઇટ પર નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. બોર્ડને રજિસ્ટ્રેશનની જવાબદારી સોંપવામાં આવી છે અને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે રજિસ્ટ્રેશન વિના કોઈપણ મુસાફરોને ચાર ધામમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
નોંધણીની સંપૂર્ણ પ્રક્રિયા
- 1. સૌથી પહેલા તમે વેબસાઈટ Badrinath-kedarnath.gov.in પર લોગઈન કરો.
- 2. ત્ચારબાદ વેબસાઇટ પર તમારો મોબાઇલ નંબર એડ કરો.
- 3. આ પછી તમે પાસવર્ડ જનરેટ કરી શકશો.
- 4. લોગઈન કર્યા પછી મોબાઇલ પર OTP આવશે.
ખાસ વાત એ છે કે તમારા મોબાઇલ નંબર ભારતીય નંબર હોવો જોઈએ. બીજી મહત્વની બાબત એ છે કે દરેક વ્યક્તિ માટે પૂજા, પાઠ, આરતી, ભોગ અથવા રોકાવા સંબંધિત બુકિંગ માટે પણ નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.
કોણ કોણ કરી શકશે યાત્રા ?
ચાર ધામ યાત્રા માટે હાઇકોર્ટે કેટલીક સૂચનાઓ સ્પષ્ટ કરી છે. શનિવારથી શરૂ થતી યાત્રા અંતર્ગત કેદારનાથમાં 800, બદ્રીનાથમાં 1200, ગંગોત્રીમાં 600 અને યમુનોત્રીમાં 400 યાત્રાળુઓને દરરોજ દર્શન માટે મંજૂરી આપવામાં આવશે. આ સિવાય કેટલીક અન્ય બાબતોને પણ ધ્યાનમાં લેવામાં આવશે જેમકે…
- 1. જો તમે રસીના બંને ડોઝ લીધા હોય તો જ તમે યાત્રા કરી શકશો, તમારી પાસે તેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
- 2. યાત્રાળુઓ કોઈપણ કુંડમાં સ્નાન કરી શકશે નહીં.
- 3. યાત્રાળુઓએ કોરોના નેગેટિવ રિપોર્ટ પણ પોતાની સાથે રાખવો પડશે.
- 4. યાત્રાળુઓએ ફેસ માસ્ક, સામાજિક અંતર અને અન્ય કોરોના નિયમોનું પાલન કરવું પડશે.
- 5. નિયમ તોડનાર વિરુદ્ધ કડક કાર્યવાહી થશે.
આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને તમે કરાવેલી નોંધણીની અરજી પર ચકાસણી થશે અને પછી તમને ઇ-પાસ મળશે, જે તમારે યાત્રાના સમયગાળા દરમિયાન સાથે રાખવાનો રહેશે.