કારમાં CNG ભરાવતી વખતે બ્લાસ્ટ..! કેવી રીતે ઘટી દુર્ઘટના.?
પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે, અને હવે સામાન્ય લોકોને પરવડે તેમ નથી, માટે લોકો હવે CNG તરફ વળી રહ્યા છે, પરંતુ CNGમાં પણ બ્લાસ્ટનુ મોટુ ભયસ્થાન રહેલુ છે.. જો તમે પણ CNG કારનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારે જાણવા ખૂબ જ જરૂરી છે.. ભરૂચના CNG પંપ પર કારમાં બ્લાસ્ટ થયો, અને સૌ કોઇની આંખો પહોળી થઇ ગઇ..
ઘણીવાર આપણે જોઇએ છીએ કે CNG ભરાવતી વખતે કારમાંથી નીચે ઉતરવા માટે સૂચના અપાય છે.. છતાં કેટલાય CNG રિફિલીંગ પંપ પર કેટલાય લોકો કારમાં જ બેસી રહે છે. તેવા લોકો માટે ભરૂચનો આ કિસ્સો ચેતવણીરૂપ છે.. આપણે ઘણી વાર સાંભળ્યુ હશે કે પેટ્રોલ ભરાવતા સમયે અથવા ગેસ રિફિલ કરાવતા સમયે વાહનમાં વિસ્ફોટ થયો અથવા આગ લાગી ગઈ. તેને લગતા વીડિયો પણ તમે સોશિયલ મીડિયા પર જોયા હશે. આવું જ કઇ ક ભરૂચમાં થયુ. ભરૂચના નર્મદા ચોકડી પર એક સીએનજી સ્ટેશન પર ગેસ ભરાવતા સમયે કારની ટેન્કમાં વિસ્ફોટ થયો, જેનાથી અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો. સારી વાત એ રહી કે આ ઘટનામાં કોઈ જાનમાલનું નુકશાન નથી થયુ. આ ઘટનામાં સુરતના પરિવાર અને સીએનજી પેટ્રોલ પંપ પરના કર્મચારીઓનો ચમત્કારિક બચાવ થયો.
ઘટનાની જાણકારી મુજબ સુરતના હરિકૃષ્ણા એપાર્ટમેન્ટમાં રહેતા કોન્ટ્રાક્ટર નરેન્દ્ર વિનુભાઈ ખત્રી બુધવારે રાત્રે પોતાની હોન્ડા જાઝ કારમાં સુરતથી વડોદરા જઈ રહ્યા હતા. 11.50 કલાકે તેઓ ભરૂચના નર્મદા ચોકડી પર આવેલા ગુજરાત ગેસ સીએનજી સ્ટેશન પર રિફ્યુઅલ કરવા ગયા હતા. કારમાં સીએનજી ભરવામાં આવી રહી હતી ત્યારે અચાનક ટાંકીમાં વિસ્ફોટ થયો હતો. સીએનજી ટેન્કમાં જોરદાર વિસ્ફોટ થતાં કારના કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જોકે ગેસ ભરતી વખતે વાહનમાં કોઈ ન હોવાથી તમામ લોકો સલામત રીતે બચી ગયા હતા. તેમજ રાત્રીનો સમય અને ગેસ સ્ટેશન પર વાહનો ઓછા હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે લોકો હવે CNG કાર તરફ વળી રહ્યા છે, પરંતુ CNG કાર ચાલકો માટે તેને ચેતવણીરૂપ કિસ્સો ગણી શકે છે. જો આવા સમયે ધ્યાન રાખવામાં ન આવે તો મૃત્યુ પણ થઈ શકે છે. સદ્નસીબ ઘટના સમયે વાહનની અંદર કોઈ નહોતું, પરંતુ ઘણી વખત એવું જોવા મળ્યું છે કે પેટ્રોલ પંપ માલિકની સલાહ બાદ પણ લોકો કારમાંથી નીચે ઉતરતા નથી.