ધનતેરસ પર કરેલી પૂજાથી ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ, જળવાઈ રહેશે બરકત
હિંદૂ ધર્મનો સૌથી મોટા તહેવાર દિવાળીને હવે ગણતરીના જ દિવસો બાકી છે. માનવામાં આવે છે કે દિવાળી જેટલું જ મહત્વ દિવાળી પહેલા આવતા ધનતેરસના પર્વનું છે. હિંદૂ પંચાંગ અનુસાર કારતક માસના કૃષ્ણ પક્ષની તેરસના દિવસે ધનતેરસનું પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મી, ધનના દેવતા કુબેર અને યમરાજ તેમજ ધનવંતરીની પૂજા કરવામાં આવે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર ધનતેરસના દિવસે સોના અને ચાંદીની તેમજ ઘરના વાસણની ખરીદી કરવી શુભ ગણાય છે. આ દિવસે વિધિ-વિધાનથી કરવામાં આવેલી પૂજા અર્ચનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. આ વર્ષે ધનતેરસ 2 નવેમ્બરના દિવસે ઉજવવામાં આવશે. દિવાળી પર્વની ઔપચારિક શરુઆત ધનતેરસના દિવસથી થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર સમુદ્ર મંથન દરમિયાન જ્યારે ભગવાન ધનવંતરી પ્રકટ થયા હતા ત્યારે તેમના હાથમાં અમૃત કળશ હતો. આ દિવસે તેરસની તિથિ હતી. આ કારણે દર વર્ષે આ દિવસે ધનતેરસની ઉજવણી કરવામાં આવે છે અને વિશેષ પૂજા કરવામાં આવે છે. ભગવાન ધનવંતરીને ચિકિત્સાના દેવતા માનવામાં આવે છે. પરંપરા અનુસાર આ દિવસે સોના અને ચાંદીના આભૂષણ અને ઘર માટે વાસણ લેવામાં આવે છે.
આ વર્ષનું ધનતેરસનું શુભ મુહૂર્ત
ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરી, માતા લક્ષ્મી અને ધનના દેવતા કુબેરની પૂજા કરવામાં આવે છે. વિધિ વિધાન સાથે તેમની પૂજા શુભ મુહૂર્તમાં કરવી પણ જરૂરી હોય છે. તેથી તમને પણ જણાવી દઈએ આ વર્ષની ધનતેરસની પૂજાના શુભ મુહૂર્ત વિશે.
- ધનતેરસ – 2 નવેમ્બર મંગળવાર
- ધનતેરસની પૂજાનું શુભ મુહૂર્ત – સાંજે 5 કલાક અને 25 મિનિટથી સાંજે 6 સુધી
- પ્રદોષ કાળ – સાંજે 5.39 મિનિટથી રાત્રે 8.14 મિનિટ
- વૃષભ કાળ – સાંજે 6.51 મિનિટથી રાત્રે 8.47 મિનિટ
- ધનતેરસના દિવસે આ રીતે કરો પૂજા
– ધનતેરસના દિવસે પૂજા-અર્ચના કરવા માટે સૌથી પહેલા એક બાજોઠ લો, તેના પર લાલ કપડું પાથરો, તેના પર ગંગાજળ છાંટો અને માતા લક્ષ્મી, કુબેર દેવતા અને ભગવાન ધનવંતરીનો ફોટો કે પ્રતિમા સ્થાપિત કરો.
– ત્યારબાદ ભગવાનની પ્રતિમા સામે શુદ્ધ ઘીનો દીવો કરો. તેની સાથે જ ધૂપ અને અગરબત્તી પણ પ્રગટાવો. ત્યારબાદ બધા દેવી-દેવતાને લાલ ફૂલ અર્પણ કરો.
– આ દિવસે ખરીદેલા વાસણ, સોના, ચાંદીની વસ્તુ ખરીદી હોય તો તેને પણ ચોકી પર રાખી દો. જો ખરીદી કરી ન હોય તો ઘરમાં હોય તે વસ્તુને પૂજામાં રાખી શકો છો.
– ત્યારબાદ લક્ષ્મી યંત્ર, લક્ષ્મી સ્ત્રોત, લક્ષ્મી ચાલીસા, કુબેર સ્ત્રોત, કુબેર યંત્રનો પાઠ કરો. પૂજા દરમિયાન માતા લક્ષ્મીના મંત્રોનો જાપ કરો. ત્યારબાદ દરેક ભગવાનને મીઠાઈ ધરાવો.