ફટાકડાનું દિવાળી પહેલા સુરસુરીયું, જાણો શું કહેવાયું છે સરકારના નવા આદેશમાં

ગણપતિ મહોત્સવ પૂર્ણ થયાની સાથે જ દેશભરમાં નવરાત્રીની તૈયારીઓ શરુ થશે અને ત્યારબાદ દિવાળીના પર્વની ઉજવણીમાં લોકો મસ્ત થઈ જશે. હાલની જે સ્થિતિ છે તેમાં અનુમાન છે કે આ વખતે દિવાળી પ્રતિબંધો વિના ઉજવી શકાશે તેથી લોકોમાં પણ ઉત્સાહ છે. દિવાળીમાં આ વખતે લોકો ફટાકડા ફોડી અને નવા વર્ષને વધાવવાની તૈયારીના સપના પણ જોવા લાગ્યા હશે પરંતુ કેટલાક રાજ્યોમાં આવું શક્ય નહીં બને. કારણ કે પ્રદૂષણ ન વધે તે માટે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ નિર્ણય લીધો છે દિલ્હીની કેજરીવાલ સરકારે.

image source

દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તમામ પ્રકારના ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધની જાહેરાત કરી દીધી છે. એટલે કે દિલ્હીમાં દિવાળી દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે. સીએમ અરવિંદ કેજરીવાલે આ અંગે ટ્વિટ કરીને કહ્યું હતું કે આ વર્ષે પણ દિવાળી પર ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવી રહ્યો છે, જેથી લોકોના જીવ બચાવી શકાય. જણાવી દઈએ કે આ વર્ષે દિવાળી 4 નવેમ્બરે ઉજવવામાં આવશે.

સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું હતું કે, દિવાળી દરમિયાન દિલ્હીના પ્રદૂષણની ખતરનાક સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વખતે પણ તમામ પ્રકારના ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેથી લોકોના જીવન બચાવી શકાય. મુખ્યમંત્રીએ કહ્યું ગયા વર્ષે વેપારીઓ દ્વારા ફટાકડાનો સંગ્રહ કરી લેવાયા બાદ, પ્રદૂષણની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, જેના કારણે વેપારીઓને નુકસાન થયું હતું. ત્યારે આ વર્ષે તમામ વેપારીઓને અપીલ છે કે આ વખતે સંપૂર્ણ પ્રતિબંધને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારનો સંગ્રહ ન કરો.

image source

જણાવી દઈએ કે ગયા મહિને સુપ્રીમ કોર્ટે ફટાકડા પર પ્રતિબંધ પર એનજીટીના આદેશમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે એનજીટીના આદેશમાં સ્પષ્ટ છે કે જે વિસ્તારોમાં હવાની ગુણવત્તા નબળી હશે ત્યાં ફટાકડાના વેચાણ અને તેને ફોડવા પર પ્રતિબંધ રહેશે. હવાની ગુણવત્તા સારી હોય તેવા વિસ્તારોમાં આ પરવાનગી આપી શકાય છે. સુપ્રીમ કોર્ટે એનજીટીના આદેશ સામે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી.