અંબાજી મંદિર સાથે શ્રીકૃષ્ણને શ્રીરામ ભગવાનનું પણ છે ખાસ કનેક્શન….
ગુજરાતમાં અનેક તીર્થ સ્થાન આવેલા છે. તેમાંથી સૌથી લોકપ્રિય કહી શકાય એવું મંદિર આવેલું છે બનાસકાંઠા જિલ્લામાં. બનાસકાંઠા જિલ્લાનું નામ આવતા જ તમે સમજી ગયા હશો કે કયા મંદિર ની વાત થઈ રહી છે. અહીં વાત થઈ રહી છે અંબાજી મંદિરની.
આમ તો અંબાજી મંદિર વર્ષભર ભક્તોથી છલકાતું રહે છે. દર મહિનાની પૂનમના દિવસે પણ અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટે છે. કારણ કે અંબાજી મંદિરમાં પૂનમ ભરવાનો અનેરો મહિમા છે. પોતાના દ્વાર પર મસ્તક ઝૂકવનાર ભક્તની મનોકામના પૂરી કરી અને તેના કષ્ટ દૂર કરતા અંબાજીના દર્શને ભાદરવી પૂનમના દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટે છે.
ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં વસતા માં અંબાના ભક્તો ભાદરવી પૂનમના દિવસે અહીં અચૂક દર્શન કરવા આવે છે. ભાદરવી પૂનમના દિવસે દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી પગપાળા ચાલીને પણ આવતા હોય છે.
અંબાજી ભારતના મુખ્ય શક્તિપીઠમાંથી એક હોવાથી આ મંદિરનું અતિ મહત્વ છે. વળી આ સ્થાન એટલા માટે પણ ખાસ છે કે અહીં માતાજી નું હૃદય પડયું હતું. આજ કારણે મા અંબા પોતાના દર્શને આવેલા દુઃખી ભક્તના જીવનમાંથી પણ તમામ દુઃખ દૂર કરી દે છે. મા અંબા ભક્તોની મનોકામના પૂર્તિ માટે તો પ્રખ્યાત છે જ પરંતુ તેની સાથે અન્ય એક કથા આ મંદિર સાથે જોડાયેલી છે.
ખૂબ ઓછા લોકો આ વાત જાણતા હશે કે ભગવાન શ્રીકૃષ્ણની મુંડન સંસ્કાર વિધિ માં અંબાના ચરણોમાં કરવામાં આવી હતી. આ ઉપરાંત ભગવાન શ્રીરામ પણ શક્તિની ઉપાસના માટે આ મંદિરમાં આવ્યા હતા. આ મંદિરનો ઈતિહાસ 1200 વર્ષ કરતાં પણ જૂનો છે.
આ એકમાત્ર મંદિર છે જ્યાં ગર્ભગૃહમાં માતાજીની પ્રતિમા ને બદલે શ્રીયંત્ર સ્થાપિત કરવામાં આવ્યું છે. આ વખતે પણ ભાદરવી પૂનમના દિવસે મા અંબા ભક્તોને રાત્રે દોઢ કલાક સુધી દર્શન આપશે એટલે કે રાત્રે દોઢ કલાક સુધી મંદિરના દ્વાર ખુલ્લાં રહેશે.
અંબાજી મંદિર થી ત્રણ કિલોમીટર દૂર ગબ્બર નું મંદિર આવેલું છે. ગબ્બર ઉપર બિરાજતા માતાજીનું મંદિર પણ શ્રદ્ધાનું મુખ્ય કેન્દ્ર છે. ગબ્બર ઉપર માતાજીના પદચિન્હો સ્થાપિત કરવામાં આવ્યા છે. અહીં એક જ્યોતના સ્વરૂપમાં માતાજી સાક્ષાત ભક્તોને દર્શન આપે છે.