ગરીબોનુ અનાજ કોણ ચાંઉ કરી ગયું, 44 લાખ ગુજરાતીઓનુ અનાજ ક્યાં..?
સરકાર એવા પ્રયાસ કરે છે કે રાજ્યમાં કોઇપણ વ્યક્તિ ભૂખ્યો ન રહે.. તે માટે રાહત દરે અનાજનુ વિતરણ કરવામાં આવે છે.. પરંતુ કેટલાક વચેટીયાઓની નજર ગરીબોના આ કોળિયા પર છે.. અને તે ગરીબોના મુખમાંથી આ કોળિયો ઝુંટવીને પોતે ખાઇ જાય છે.. આ વાત હવામાં નથી.. વર્લ્ડ ફૂડ ડેના સેલિબ્રેશનની વચ્ચે કેટલાક આંકડા સામે આવ્યા તેના પરથી ગુજરાતની નક્કર અને નગ્ન વાસ્તવિક્તાનો અંદાજ આવી શકે તેમ છે..
44 લાખ ગુજરાતીઓનું અનાજ ખવાઈ ગયું !
રાજ્યમાં માત્ર 54.26 ટકા નાગરીકોને જ આ કાયદા હેઠળ લેવામાં આવ્યા છે.
‘વર્લ્ડ ફુડ ડે’ની ઉજવણી વચ્ચે શનિવારે ગુજરાતમાં અન્ન સલામતી કાયદાના સંપૂર્ણ અમલ અને સરકારી રાહે સસ્તા અનાજના વિતરણમાં ચાલી રહેલા ગોલમાલની વાસ્તવિકતા બહાર આવી હતી. સેન્ટ્રલ એલોગેશન ડેટા મુજબ ગુજરાતમાં 19,82,880 ક્વિન્ટલ અનાજનું વિતરણ થયુ છે. વ્યક્તિદિઠ પાંચ કિલો અનાજની ગણતરીએ 3.96 કરોડને અનાજ મળ્યુ હોવુ જોઈએ પરંતુ, ગુજરાતમાં રેશનકાર્ડ ધરાવતા નાગરીકોની સંખ્યા જ 3.52 કરોડ આસપાસ છે ત્યારે બાકીના 44 લાખ ગુજરાતીઓનું અનાજ કાગળ ઉપર જ ખવાઈ ગયાનું ચિત્ર ઉપસ્યુ છે.
દરેકને અનાજ મળતુ નથી !
અન્ન નાગરીક પુરવઠા વિભાગની વેબસાઈટ ઉપર અપડેટ થતા રિપોર્ટ મુજબ ગુજરાતમાં કુલ 72,42,579 રેશનકાર્ડ હેઠળ 3 કરોડ 52 લાખ 71 હજાર 248 નાગરીકો છે. અન્ન સુરક્ષા અધિનિયમ 2013 હેઠળ રાજ્યની કુલ વસ્તીના 67.50 ટકાને આવરી લેવાના થાય છે. જો કે, રાજ્યમાં માત્ર 54.26 ટકા નાગરીકોને જ આ કાયદા હેઠળ લેવામાં આવ્યા છે. તેમાંય દરેકને અનાજ મળતુ નથી !
બાકીનું અનાજ ક્યાં..?
આ કાયદાના ઘડતરથી લઈને અમલ માટે ચળવળકર્તા પંક્તિ જોગે કહ્યુ કે, રાજ્યમાં પહેલાથી અન્ન આયોગ પણ કાગળ ઉપર ચાલી રહ્યુ છે. હવે અનાજ પણ કાગળ ઉપર જ વિતરણ થઈ રહ્યુ છે. નેશનલ ફુડ સેફ્ટિ એક્ટ મુજબ પોર્ટલ ઉપર દર્શાવ્યા મુજબ ઓક્ટોબરમાં શનિવાર સુધીમાં ગુજરાતમાં કુલ 13,88,016 ક્વિન્ટલ ઘંઉ, 5,94,864 ક્વિન્ટલ ચોખા એમ કુલ મળીને 19,82,880 ક્વિન્ટલ અનાજ આવ્યુ છે. વ્યક્તિદિઠ પાંચ કિલો લેખે ગણતા 3.96 કરોડ નાગરીકોને મળવુ જોઈએ પરંતુ અહીં તો અન્ન સલામતીનો અધિકાર પ્રાપ્ત નાગરીકો જ 3.52 કરોડ છે. બાકીનું અનાજ ક્યાં જાય છે તે સ્પષ્ટ થતુ નથી. હકીકતમાં રાજ્યમાં જેટલા પરિવારો પાસે રેશનકાર્ડ છે તેમાંથી મોટો વર્ગ સરકારી અનાજ લેતો પણ નથી. આદિવાસી અને પછાતક્ષેત્રોમાં સરકારી રાહે સસ્તા અનાજના વિતરણમાં ચાલતા ધુપ્પલને કારણે રાજ્યમાં ભૂખમરો વધી રહ્યો છે અને કુપોષણ સામેની લડાઈ પણ અસફળ રહેવા પામી છે.
20થી 50 હજારની વેટ એસેસમેન્ટની રિકવરી કરવા બેંક એકાઉન્ટ ટાંચમાં મૂકતા સામી દિવાળીએ વેપારીઓને મુશ્કેલી
વેટ એસેસમેન્ટમાં વેપારી પાસેથી 20થી રૂ. 50 હજાર સુધીની વસુલાત કરવાની બાકી હોવા છતાં કડક રીકવરી કરીને વસુલાત કરવાના બદલે વેપારીઓના બેંક એકાઉન્ટ જ સીઝ કરી દેવાના આદેશ કરતા વિવાદ સર્જાયો છે. કારણ કે વેપારીઓના બેંક ખાતામાં લાખ્ખો અને કરોડો રુપિયાના વ્યવહાર થતા હોય ત્યારે રીકવરીની રકમ સીઝ કરવાના બદલે આખુ એકાઉન્ટ જ સીઝ કરી દેવાનો ફતવો બહાર પાડતા સામી દિવાળીએ વેપારીઓની હાલત હૈયા હોળી જેવી થઇ છે. જીએસટી પહેલા અમલમાં રહેલા વેટના કેસનો ઝડપથી નિકાલ કરીને વધુમાં વધુ રીકવરી કરવા માટેનો આદેશ ડિસેમ્બર 2020માં અપાયો હતો.