કૂતરાએ માલિક પ્રત્યેની અબોલ લાગણી અને વફાદારી નિભાવી, માલિકના અવસાન બાદ તેમની પાછળ દેહ છોડ્યો

લાગણીના સંબંધો કેવા હોય છે તેનો પુરાવો બનાસકાંઠાના દાંતામાં જોવા મળ્યો.. લાગણીના સંબંધો માત્ર વ્યક્તિઓ વચ્ચે જ હોય તે જરૂરી નથી.. ક્યારેક પાલતૂ જાનવરો પણ એટલા લાગણીસભર હોય છે કે પોતાનો જીવ સુધ્ધાં આપી દે છે.. અને કંઇક આવુ જ થયું બનાસકાંઠાના દાંતામાં.. જ્યારે તે જર્મન જાતિના શ્વાનને ઘરમાં લાવ્યા હતા ત્યારે આવી કલ્પના સુધ્ધાં પણ નહીં હોય કે તેની વિદાય આ રીતે થશે..

image source

બનાસકાંઠાના દાંતામાં યુવકના નિધન થયા બાદ કૂતરાનું મોત નિપજતાં પરિવારજનો પણ સ્તબ્ધ થઈ ગયા.. અને એક સાથે બે અણધારી વિદાયથી પરિવાર શોકમગ્ન થઇ ગયું.. બંન્ને વચ્ચે લાગણીના આવા સંબંધ બંધાઇ ગયા હશે તેની કલ્પના કોઇને નહોતી..

દાંતામાં એક યુવકનું હાર્ટ એટેકથી નિધન થયા બાદ તેમના પાળેલા કૂતરાએ ખોરાક લેવાનું છોડી દીધુ હતુ. અને સપ્તાહ બાદ કૂતરાએ દેહ છોડી દીધો હતો. પરિવારજનો યુવક અને સભ્ય સમાન કૂતરાની અણધારી વિદાયથી બેવડા આઘાતમાં સરી પડ્યા છે.

image source

દાંતામાં પાળેલા કૂતરાએ માલિક પ્રત્યેની અબોલ લાગણી અને વફાદારી નિભાવતાં માલિકના અવસાન બાદ એક સપ્તાહમાં તેમની પાછળ દેહ છોડ્યો હોવાનો લાગણીસભર કિસ્સો બનવા પામ્યો છે. આ અંગે પરિવારના મોભી શૈલેષજી ડાહ્યાજી રાઠોડ (ઠાકોર)એ જણાવ્યું કે, અમારા મોટાભાઇ પ્રવિણજી રાઠોડનું 15 દિવસ અગાઉ હાર્ટ એટેકથી નિધન થયું હતુ. તેમની સ્મશાનયાત્રા નીકાળવામાં આવી ત્યારે પાંજરામાં પુરેલો પાળેલો કુતરો ટોમી ખુબ ભસ્યો હતો. જોકે, તે પછી ભસવાનું બંધ કરી દીધું હતુ. તેમજ પાણી કે ખોરાક લેવાનું પણ બંધ કરી દીધુ હતુ. ડોકટર બોલાવી સારવાર કરાવી હતી. પરંતુ ભાઇના નિધન પછી એક સપ્તાહમાં જ તેમનો વિરહ સહન ન થતાં ટોમીએ પણ દેહ છોડી દીધો હતો.

image source

મોટાભાઇ અને અમારા પરિવારના સભ્ય સમાન ટોમીની અણધારી વિદાયથી કારમો આઘાત અનુભવીએ છીએ.પ્રવિણજીના પરિવારમાં પત્ની અને બે પુત્રીઓ છે. તેમણે જર્મન જાતિના કૂતરાનું ચાર માસનું ગલુડીયું લાવીને મોટુ કર્યુ હતુ.બંને જણાં એક લાગણીના તાંતણે બંધાયા હતા.

image source

શ્વાનને વફાદારીનુ પ્રતિક માનવામાં આવે છે.. અને શ્વાનની વફાદારીના અનેક કિસ્સાઓ આપણે આપણી આસપાસ અને ફિલ્મોમાં પણ જોયા છે.. ત્યારે બનાસકાંઠાના દાંતાના આ શ્વાને તો વફાદારીની સાથે લાગણીના સંબંધોનો પણ પુરાવો આપી દીધો.