કાર વેચવાનું વિચારી રહ્યા છો તો જાણી લો ફાસ્ટેગનું શું કરવું ? સૌ પહેલા કરી લો આ કામ
હવે કારમાં ફાસ્ટેગ લગાવવું ફરજીયાત થઈ ગયું છે અને રોડ ટેક્સ આપવા માટે ફાસ્ટેગ એક સ્ત્રોત બની ગયું છે ત્યારે જો કારમાં ફાસ્ટેગ ન હોય તો તમારી મુશ્કેલી પણ વધી શકે છે. એક શહેરથી બીજા શહેરમાં મુસાફરી કરનારા મોટાભાગના કાર ચાલકોએ કારમાં ફાસ્ટેગ લગાવી લીધા છે. તમને એ પણ ખબર હશે કે ફાસ્ટેગને રિચાર્જ કરવાનું રહે છે અને તે કઈ રીતે કામ કરે છે. પરંતુ તમે ક્યારેય એ વિશે વિચાર્યું છે કે કાર વેચવાની થાય ત્યારે આ ફાસ્ટેગનું શું કરવું ?
અથવા ક્યારેક કોઈ કારણોસર જો કારનો સામેની બાજુનો કાચ તૂટી જાય તો ફાસ્ટેગનું શું કરવું ? આવી સ્થિતિમાં ફાસ્ટેગ માટે એક અલગ વ્યવસ્થા કરવામાં આવી છે અને તે પ્રોસેસ દ્વારા આ સમસ્યાનું સમાધાન કરી શકાય છે. ત્યારે ચાલો જાણીએ કે ક્યારેક અકસ્માતે તમારી સાથે આવી પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે તમારે શું કરવું જોઈએ.
કાર વેંચી દેવા પર શું થાય ?
જો તમે તમારી કાર વેંચી દો છો તો તમારે તમારું ફાસ્ટેગ કાર્ડ બદલાવવું પડશે કારણ કે ફાસ્ટેગથી તમારું બેંક અકાઉન્ટ જોડાયેલું હોય છે. એટલા માટે તમારે તમારું ફાસ્ટેગ બદલવું જરૂરી છે. અસલમાં આવી સ્થિતિમાં તમારે ફાસ્ટેગ બંધ કરવાનું રહેશે અને તેને ટ્રાન્સફર નથી કરી શકાતું. જો કે હવે અમુક પ્લેટફોર્મ તેને ટ્રાન્સફર કરવાનો વિકલ્પ આપે છે જેથી ગાડી બદલાવવાથી ફાસ્ટેગ પણ ટ્રાન્સફર થઈ જાય છે અને બીજા વ્યકતીના અકાઉન્ટ સાથે એટેચ કરી દેવામાં આવે છે.
ફાસ્ટેગને કઈ રીતે બંધ અથવા ટ્રાન્સફર કરવું ?
તમારું ફાસ્ટેગ બંધ કરાવવા માટે તમારે તમારી બેંક કે વોલેટ કંપની સાથે સંપર્ક કરવાનો રહેશે. તમે કસ્ટમર કેયર પર વાત કરીને તેને સરળતાથી બંધ કરાવી શકો છો અને જરૂર પડે તો નવું ફાસ્ટેગ પણ બનાવડાવી શકો છો. એ સિવાય પેટીએમ પણ ફાસ્ટેગને ટ્રાન્સફર કરવાનનો વિકલ્પ આપે છે અને તમે તેને અન્ય કોઈ ફોન નંબર પર ટ્રાન્સફર કરી શકો છો. ત્યારબાદ ફાસ્ટેગ બીજા નંબર સાથે એટેચ થઈ જશે. આ કામ તમે પેટીએમ એપ દ્વારા કરી શકો છો અને ફાસ્ટેગ બંધ કરાવવા માટે તમારે કસ્ટમર કેયર સાથે વાત કરવી પડશે.
કાચ તૂટી જાય કે ટેગ તૂટી જાય તો શું કરવું ?
જો તમારી કારનો કાચ તૂટી જાય કે ટેગ તૂટી જાય તો આવી સ્થિતિમાં તમે નવું ફાસ્ટેગ બનાવી શકો છો. આ માટે તમારે બેંકનો સંપર્ક કરવાનો રહે છે અથવા જ્યાં આ ફાસ્ટેગ મળે છે ત્યાં જઈને પણ તમે નવું ફાસ્ટેગ લઈ શકો છો. ફાસ્ટેગ તરફથી તમને આ વિકલ્પ આપવામાં આવે છે. એટલા માટે તમારે આવી સ્થિતિમા ગભરાઈ જવાની જરૂર નથી.