જો તમે પણ FD કરાવેલી છે તો આ નવો નિયમ જાણી લેજો નહીં તો થશે મોટુ નુકશાન
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ ફિક્સ ડિપોઝિટને લઈને મોટો ફેરફાર કર્યો છે. સેન્ટ્રલ બેંકે ફિક્સ ડિપોઝિટની પરિપક્વતા પછી દાવાવાળી રકમ પરના વ્યાજના નિયમોમાં ફેરફાર કર્યા છે. નવા નિયમ મુજબ મેચ્યોરિટીની તારીખ પૂરી થયા પછી પણ જો તેની રકમનો દાવો કરવામાં ન આવે તો તમને તેના પર ઓછું વ્યાજ મળશે. જ્યારે હાલમાં, જો ફિક્સ્ડ ડિપોઝિટની મુદત પૂરી થઈ જાય છે અને રકમ ચૂકવવામાં ન આવે તો તે રકમ બેંકમાં દાવા વગર પડી રહે છે, તો બચત થાપણ પર ચૂકવવાપાત્ર વ્યાજ અનુસાર તેના પર વ્યાજ આપવામાં આવે છે.
પરિપત્રમાં આરબીઆઈએ શું કહ્યું?
આરબીઆઈએ તેના પરિપત્રમાં કહ્યું છે કે, ‘તેની સમીક્ષા પર નિર્ણય લેવામાં આવ્યો છે કે જો ફિક્સ્ડ ડિપોઝિટ પરિપક્વ થાય છે અને રકમ ચૂકવવામાં આવતી નથી અને તે બેંકમાં દાવા વગર પડી રહે છે, તો તેના પરના વ્યાજ દર બચત ખાતાના હિસાબે અથવા તો એફડી અને સેવિંગ્સ અકાઉન્ટ બેમાંથી જે વ્યાજ ઓછું હશે એ જ આપશે.
આ નવો નિયમ તમામ વ્યાપારી બેંકો, નાની ફાઇનાન્સ બેંકો, સહકારી બેંકો, સ્થાનિક પ્રાદેશિક બેંકોમાં થાપણોને લાગુ પડશે. ફિક્સ્ડ ડિપોજિટ તે જમા રાશી છે જે બેંકોમાં એક નિશ્ચિત સમયગાળા માટે નક્કી કરેલા વ્યાજ પર રાખવામાં આવે છે. તેમાં રિકરિંગ, ક્યુમ્યુલેટિવ, રિવેન્ટેડ ડિપોઝિટ્સ અને રોકડ પ્રમાણપત્રો જેવી થાપણો શામેલ છે.
રોકાણ માટે એફડી એ સૌથી સહેલો અને સલામત વિકલ્પ છે
જો તમે તમારી બચત પર વધારે વ્યાજ મેળવવા માંગતા હો, તો ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) યોજનાઓમાં રોકાણ કરવું એ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરવી એ સૌથી સહેલો અને સલામત રોકાણ વિકલ્પ માનવામાં આવે છે. આમાં, રોકાણકારોને નિશ્ચિત અંતરાલ પર નિશ્ચિત વળતર મળવાની ખાતરી છે, સાથે સાથે બજારના ઉતાર ચઢાવની પણ તેૉના પર અસર થતી નથી.
નોંધનિય છે કે, કોરોનાકાળમાં મોંઘવારીનો દર સતત ઊંચો જઈ રહ્યો છે, એની સામે ફિક્સ ડિપોઝિટના વ્યાજદર નીચે આવી ગયા છે. મોટા ભાગની બેન્કોમાં ફિક્સ ડિપોઝિટનો રેશિયો સતત ઘટતો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, અત્યારે બેન્કોમાં થતી ફિક્સ ડિપોઝિટમાં 70 ટકાથી વધુ હિસ્સો સિનિયર સિટિઝન્સનો જોવા મળી રહ્યો છે. જો બેન્કો હવે ફિક્સ ડિપોઝિટો ઓટોમેટિક રિન્યૂ નહિ કરે તો ફિક્સ ડિપોઝિટમાં વધુ ઘટાડો આગામી સમયમાં થઇ શકે છે. નોંધનિય છે કે કોરોનાકાળમાં લોકોની આવક ઓછી થતા બચત પણ ઘટી છે. તો બીજી તરફ ફિક્સ ડિપોઝિટમાં સૌથી વધુ સિનિયર સિટિઝન્સ દ્વારા થાય છે, એમાં પણ 15 ટકાથી વધુ ડિપોઝિટ કરનારને પાકતી મુદત યાદ પણ રહેતી નથી. નોંધનિય છે કે, અત્યારસુધી ઓટો રિન્યૂને કારણે પાકતી મુદત ભૂલી જાય તો પણ એટલું નુકસાન ન હતું, પરંતુ હવે ભૂલ થશે તો ફુગાવાનું અડધું વ્યાજ પણ નહિ મળે. જેથી આવનાર સમયમાં ઘણી સમસ્યા આવી શકે છે.
યોગ્ય એફડી કેવી રીતે પસંદ કરવી
બેંકો દરેક સમયગાળાની એફડી પર વિવિધ વ્યાજ દર આપે છે. રોકાણના લક્ષ્યના આધારે યોગ્ય કાર્યકાળ અને ઉચ્ચ વ્યાજ દર પસંદ કરો.
નાણાંનું રોકાણ કરતા પહેલાં, બેંકની શાખાને તપાસો અને CRISIL, ICRA પર રેટિંગ તપાસો.
ચુકવણીની પદ્ધતિઓ વિશે જાણો. બેંકો ફક્ત પાકતી અવધિ પર જ સંચિત એફડીમાં વ્યાજ દર ચૂકવે છે. નોન-ક્યુમ્યુલેટિવ એફડી પરના વ્યાજ, વિકલ્પ હેઠળ ત્રિમાસિક, અર્ધ વાર્ષિક અથવા વાર્ષિક ચૂકવણી કરી શકાય છે.