હિમાચલ પ્રદેશ : ભારતના આ રાજ્યમાં આવેલું છે ફરવાલાયક ઘબુ બધું
ભારતમાં આવેલા ફરવાલાયક સ્થળોની કોઈ કમી નથી. આવા જ ફરવાલાયક ખુબસુરત સ્થાનોથી ભરપૂર છે હિમાચલ પ્રદેશ. આ રાજ્ય પોતાની સુંદરતા અને પર્યટન સ્થાનોને લઈને પ્રસિદ્ધ છે. હિમાચલ પ્રદેશ એક એવું રાજ્ય છે જ્યાંના તળાવો, ઊંચા પહાડો અને પ્રાચીન ઇમારતો પર્યટકોને આકર્ષિત કરે છે. આ રાજ્ય પર્યટકો માટેના ફેવરિટ પોઇન્ટ પૈકી એક છે. જો કે કોરોના મહામારીને કારણે ગયા વર્ષે અહીં બહુ ઓછા પર્યટકો આવ્યા હતા અને આ વર્ષે પણ આ જ હાલ છે. પરંતુ સારી વાત છે કે અહીં પર્યટકોની સંખ્યા ઓછી છે અને તેના કારણે કોરોના મહામારી વધવાનું જોખમ પણ ઓછું રહ્યું. કોરોના પૂર્ણ રીતે નીકળી ગયા બાદ પર્યટકો અહીં રોકટોક વિના ફરવા માટે આવી શકશે. જો તમે પણ કોરોનાના જોખમ પૂરું થયા બાદ ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા હોય તો હિમાચલ પ્રદેશ અચૂક.ફરવા જજો. ત્યાં ફરવા માટે અનેક લાજવાબ સ્થળો આવેલા છે અને આવા જ સ્થળો વિશે અમે તમને અહીં માહિતી આપવાના છીએ.
મનાલી
મનાલી હિમાચલ પ્રદેશમાં સ્થિત પર્યટન ક્ષેત્રો પૈકી સૌથી વધુ પ્રખ્યાત પર્યટન ક્ષેત્ર છે. મનાલી કુલ્લુ ઘાટીમાં આવેલું છે. અહીંના હર્યાભર્યા લીલાછમ જંગલો અને ઘાસના મેદાનો પર્યટકોનું મન મોહી લે છે. શિયાળાની સીઝનમાં તો અહીં બરફથી ઢંકાયેલા રસ્તાઓ અને પહાડો અહીંની સુંદરતાને ઓર વધારી દે છે. ફરવા માટે આ જગ્યા એક ફેવરિટ ટ્રાવેલ ડેસ્ટિનેશન પોઇન્ટ છે.
કસૌલી
ભીડભાડ વાળી જગ્યાઓથી દૂર કોઈ શાંત અને પ્રાકૃતિક સુંદરતા ધરાવતી જગ્યાએ ફરવા જવાની ઈચ્છા હોય તો કસૌલી તમારા માટે બેસ્ટ જગ્યા છે. આ સ્થાન અસલમાં એક નાનું હિલ સ્ટેશન છે જે પ્રાચીન સુંદરતા અને પ્રાકૃતિક આકર્ષણોને લઈને પર્યટકોમાં પ્રસિદ્ધ છે. જો તમારે ક્યારેક હિમાચલ પ્રદેશ બાજુ ફરવા જવાનું થાય તો ભૂલ્યા વિના કસૌલી એક આંટો જરૂર મારજો.
ડલહોજી
ધૌલાધાર પર્વત શૃંખલાઓ વચ્ચે સ્થિત ડલહોજી એક પ્રસિદ્ધ અને ફરવાલાયક પર્યટન સ્થળ છે. પર્વતોથી ઘેરાયેલી આ જગ્યા પર પર્યટકો માટે ઘણું બધું જોવા અને માણવાલાયક છે. અહીંની મનમોહક વાદીઓ અને પહાડો જોઈને પર્યટકોનું મન ખુશખુશાલ થઈ જાય છે. એ સિવાય અહીંની પ્રાકૃતિક સુંદરતા અને પ્રાચીન આકર્ષણોને જોવા હોય તો હિમાચલ પ્રદેશના આ ડલહોજી ખાતે અચૂક ફરવા જવું જોઈએ.
ખજ્જીયાર
હિમાચલ પ્રદેશ રાજ્યનાં ચંબા જિલ્લામાં આવેલ આ એક નાનકડું ગામ છે પરંતુ તેની સુંદરતા બહુ આકર્ષક છે. હિમાચલ પ્રદેશના આ ખજ્જીયાર ગામને ભારતનું મીની સ્વિત્ઝર્લેન્ડ પણ કહેવામાં આવે છે. જો તમે સ્વિત્ઝર્લેન્ડ ફરવા ન ગયા હોય તો તમારે તેના વિકલ્પ રૂપે ખજ્જીયાર જરૂર ફરવા જવું જોઈએ. તમે અહીંની સુંદરતા જોઈને અચુક કહી ઉઠશો કે અહીં આવ્યા તેનો ખર્ચ વસુલ આનંદ મળ્યો.