જાણો કોવિડ અને નિપાહ વચ્ચે શું છે સમાનતા અને આ વાયરસ કેટલો છે ઘાતક
કેરળમાં ફરી એકવાર મહામારીએ દસ્તક આપી દીધી છે. કોરોના વાયરસની સામે લડી રહેલા કેરળ રાજ્યમાં વધુ એક વાયરસની એન્ટ્રી થતા લોકોની ચિંતા વધી છે. કેરળના કોઝિકોડમાં રવિવારે સવારે નિપાહ વાયરસથી 12 વર્ષના યુવકનું મોત થયું હતું. આ સાથે જ રાજ્યના વધુ બે લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. આ વાયરસ પણ ઊંચો મૃત્યુદર ધરાવે છે અને તેના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારની નજર કોરોના સાથે હવે આ વાયરસ પર પણ છે. આ વાયરસ પણ જીવલેણ છે અને વર્ષ 1998 માં મલેશિયામાં પ્રથમ વખત આ વાયરસ જોવા મળ્યો હતો. જ્યારે ભારતમાં 2001 માં પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં આ વાયરસની પુષ્ટિ થઈ હતી.
તે સમય દરમિયાન અનેક લોકોને આ વાયરસનો ચેપ લાગ્યો હતો અને 40 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર વર્ષ 2018 માં કેરળમાં ઘણા લોકો આ ભયાનક રોગથી પ્રભાવિત થયા હતા અને લગભગ 17 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જણાવી દઈએ કે આ રોગનો મૃત્યુ દર 40 થી 80 ટકાનો છે. આ રોગમાં સંક્રમણની અવધિ ઓછામાં ઓછા 14 દિવસ એટલે કે બે અઠવાડિયાની હોય છે. હવે જ્યારે આ વાયરસે ફરીથી માથું ઉંચક્યું છે ત્યારે જાણીએ કે નિપાહ વાયરસ શું છે, તેના લક્ષણો કેવા હોય છે અને તેની સારવાર કેવી રીતે થાય છે.
શું છે નિપાહ વાયરસ ?
નિપાહ વાયરસ પ્રાણીઓથી મનુષ્યોમાં ફેલાય છે. તે ફ્લાઈંગ ફોક્સ એટલે કે ફ્રૂટ બૈટથી પ્રાણીઓ અને મનુષ્યોમાં ઝડપથી ફેલાય છે. તે સામાન્ય રીતે ડુક્કર, કુતરા અને ઘોડાને સૌથી વધુ અસર કરે છે. લોકો મુખ્યત્વે પક્ષીઓ અને પ્રાણીઓના સંપર્કમાં આવ્યા બાદ ભયાનક રોગચાળાથી સંક્રમિત થાય છે. ચામાચીડિયા તેનું સૌથી મોટું કારણ છે. તે પ્રવાહી દ્વારા પ્રાણીઓથી માણસોમાં ફેલાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર તેનાથી સંક્રમિત લોકોને ગંભીર રોગો અને ઈંસેફેલાઈટિસ જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. નિપાહ વાયરસ માત્ર પ્રાણીઓ માટે જ નહીં પણ માનવો માટે પણ જીવલેણ છે.
નિપાહ વાયરસના લક્ષણો
નિપાહ વાયરસથી સંક્રમિત લોકોને કોરોના વાયરસ જેવા જ લક્ષણો જણાય છે. તેના પ્રારંભિક લક્ષણો ગળામાં દુખાવો, તાવ, સ્નાયુઓમાં દુખાવો, માથાનો દુખાવો, ચક્કર, થાક વગેરે છે. જો તેની યોગ્ય સમયે સારવાર કરવામાં ન આવે તો તે ગંભીર સ્વરૂપ લઈ શકે છે. રોગ ગંભીર સ્થિતિમાં આવે તો દર્દીને શ્વાસ લેવામાં સમસ્યા, મગજમાં સોજો આવી જવો જેવી સમસ્યાઓ થાય છે. ગંભીર લક્ષણો ધરાવતા વ્યક્તિ 24 થી 48 કલાકની વચ્ચે કોમામાં સરી પડે છે.
તેના લક્ષણો કોઈપણ વ્યક્તિમાં 5 થી 14 દિવસની અંદર દેખાઈ શકે છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં તેના લક્ષણો 45 થી 50 દિવસમાં દેખાય છે. આ વાયરસના પણ ઘણા કિસ્સાઓ છે જેમાં ચેપગ્રસ્ત વ્યક્તિમાં કોઈ જ લક્ષણો જોવા મળ્યા નથી, આ વાયરસનું સૌથી ખતરનાક પાસું એ છે કે સંક્રમિત વ્યક્તિને ખબર પણ હોતી નથી અને તે અન્યને સંક્રમિત ઝડપથી કરી દે છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલની ટીમે દરેકને ચેતવાની સલાહ આપી છે અને જો રોગના લક્ષણો જણાય તો તુરંત જ આરોગ્ય કર્મચારીઓને જાણ કરવી.
નિપાહ વાયરસની સારવાર
હાલમાં નિપાહ વાયરસ માટે કોઈ સારવાર ઉપલબ્ધ નથી. જો તમને આ લક્ષણો દેખાય છે, તો તરત જ તમારા ડોક્ટરની સલાહ લો અને આરોગ્ય કર્મચારીઓને જાણ કરો, જેથી તમે તેના ગંભીર લક્ષણોનો શિકાર થવાથી બચી શકો. આ વાયરસની પુષ્ટિ થયા પછી દર્દીને ગંભીર લક્ષણો ટાળવા માટે ડોક્ટર દ્વારા દવા આપવામાં આવે છે. નિપાહ વાયરસની પુષ્ટિ થયા બાદ બાદ ડોક્ટરની સલાહ વગર દવા લેવી જોઈએ નહીં કારણ કે તે અચાનક દર્દીની તબિયત ખરાબ કરી શકે છે.
નિપાહ વાયરસથી કેવી રીતે બચવું
નિપાહ વાયરસથી બચવા માટે હાલમાં કોઈ ઉપચાર, દવા કે રસી ઉપલબ્ધ નથી, તેથી લોકોએ વધુ સાવચેત રહેવાની જરૂર છે. જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો આ ભયાનક વાયરસથી બચી શકાય છે. આ માટે ફળના ચામાચીડિયા અને ડુક્કરના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ. આ સાથે જમીન પર પડેલા કે સીધા ઝાડ પરથી પડી ગયેલા ફળ પણ ન ખાવા જોઈએ. બહારથી લાવેલા ફળ ખાતા પહેલા તેને સારી રીતે ધોઈ લેવા જોઈએ.