ક્રિકેટર યુવરાજ સિંહની ધરપકડ, જાણો શું છે મામલો
પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહની શનિવારે હરિયાણામાં ધરપકડ કરવામાં આવી હતી અને થોડા સમય બાદ જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આ કાર્યવાહી એક ફરિયાદની તપાસના ભાગરૂપે કરવામાં આવી છે જેમાં તેણે ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સામે એક જાતીગત અપશબ્દનો ઉપયોગ ઈન્સ્ટાગ્રામ લાઈવ વીડિયોમાં કર્યો હતો.
યુવરાજ સિંહે વર્ષ 2020 માં ઇન્સ્ટાગ્રામ લાઇવ વીડિયો દરમિયાન રોહિત શર્મા સાથે આ ટિપ્પણી કરી હતી. તેમણે આ ‘અજાણતાં ટિપ્પણી’ માટે માફી પણ માગી હતી. ચહલ પર કરવામાં આવેલી આ ટિપ્પણી સોશિયલ મીડિયા પર ઘણી શેર કરવામાં આવી હતી. યુવરાજ સિંહ અને રોહિત શર્મા મિસ્ટર ચહલના ટિકટોક વીડિયો પર ચર્ચા કરતા જોવા મળ્યા હતા.
હરિયાણાના હાંસીના વરિષ્ઠ પોલીસ અધિકારી નિતિકા ગેહલોતે જણાવ્યું હતું કે, કોર્ટના આદેશ મુજબ યુવરાજ સિંહની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી અને પછી વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. જોકે, યુવરાજ સિંહના પ્રતિનિધિ શાઝમિન કારાએ કહ્યું કે પૂર્વ ક્રિકેટરની ધરપકડ કરવામાં આવી નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, યુવરાજ સિંહ તેના સુરક્ષા કર્મચારીઓ સહિત ચારથી પાંચ કર્મચારીઓ સાથે હિસારમાં પોલીસ સમક્ષ હાજર થયો હતો. આ કાર્યવાહી આ વર્ષે ફેબ્રુઆરીમાં હરિયાણામાં એક દલિત કાર્યકર્તા દ્વારા યુવરાજ સિંહની ધરપકડ અને અનુસૂચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ કેસ નોંધવાની ફરિયાદને પગલે કરવામાં આવી છે. કોર્ટના આદેશ પર આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી હતી.
એક્ટિવિસ્ટ રજત કલસાને જણાવ્યું હતું કે, 6 ઓક્ટોબરના રોજ પોલીસને યુવરાજ સિંહને તપાસમાં સામેલ કરવાનું કહેવામાં આવ્યું હતું. અમને જાણવા મળ્યું છે કે શનિવારે યુવરાજ સિંહે હિસારમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. તેની બેથી ત્રણ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. અને પછી ધરપકડ કરવામાં આવી. પછી તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો.
સાથે તેમણે એમ પણ કહ્યું કે, ‘પોલીસ થોડા દિવસોમાં તેનો અંતિમ રિપોર્ટ હિસારની SC / ST કોર્ટમાં રજૂ કરશે અને યુવરાજ સિંહે ત્યાંથી નિયમિત જામીન લેવા પડશે. તેણે હિસાર કોર્ટમાં સુનાવણીમાં હાજર રહેવું પડશે. અમે તેમનો અપરાધ સાબિત કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશું કારણ કે તેમણે સમગ્ર સમુદાયનું અપમાન કર્યું છે. આ સિવાય તેમણે કહ્યું કે, તેમને SC / ST એક્ટ હેઠળ જામીન આપવામાં આવ્યા હતા, અમે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારીએ છીએ અને આશા છે કે તમે તેમને જેલના સળિયા પાછળ જોશો.
ગયા વર્ષે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરેલા નિવેદનમાં યુવરાજ સિંહે દિલગીરી વ્યક્ત કરતા કહ્યું હતું કે જો મેં અજાણતા કોઈની લાગણી દુભાવી હોય તો હુ માફી માગુ છે. તેમણે કહ્યું હતું કે, ‘એક જવાબદાર ભારતીય તરીકે, હું કહેવા માંગુ છું કે જો મેં અજાણતામાં કોઈની લાગણી કે લાગણીઓને ઠેસ પહોંચાડી હોય તો હું તેના માટે દિલગીરી વ્યક્ત કરવા માંગુ છું.’