સોમવારથી મધ્યમવર્ગના પરિવારને વિનામૂલ્યે અનાજ વિતરણ થશે શરુ, આ વસ્તુઓ સાથે રાખવી છે ફરજિયાત
લોકડાઉનની સ્થિતિમાં જેટલું આર્થિક નુકસાન શ્રમિક વર્ગને થયું છે તેના કરતાં ઓછો પણ આર્થિક માર મધ્યમવર્ગીય પરિવારોને પણ પડ્યો છે.
તેવામાં આ સ્થિતિમાં રાજ્ય સરકારએ મધ્યમવર્ગને પણ એક માસ માટે વિનામૂલ્ય અનાજ આપવાની જાહેરાત કરી હતી. આ અનાજ વિતરણ વ્યવસ્થાનો લાભ રાજ્યના આશરે 60 લાખ લોકોને મળશે. આ જાહેરાતનું અમલીકરણ એટલે કે વિનામૂલ્યે અનાજ વિતરણ શરુ કરવાની તારીખે પણ સરકારએ જાહેર કરી દીધી છે.
સરકારી સસ્તા અનાજની દુકાનોએથી અનાજ વિતરણ 13 એપ્રિલ એટલે કે સોમવારથી શરુ થશે અને આ વિતરણ વ્યવસ્થા 17 એપ્રિલ સુધી એટલે કે 5 દિવસ ચાલશે.
આમ તો હાલની સ્થિતિમાં 14 એપ્રિલ બાદ લોકડાઉન હશે નહીં પરંતુ તેમ છતાં સસ્તા અનાજની દુકાનોએ ભીડ એકત્ર ન થાય તે માટે સરકારએ એક ખાસ વ્યવસ્થા પણ ગોઠવી છે. આ વિતરણ વ્યવસ્થાથી અનાજ લેવામાં ભીડ એકત્ર થશે નહીં. સરકારએ નક્કી કર્યા અનુસાર APL-1 રેશનકાર્ડ ધારકો માટે તેમના કાર્ડમાં જે નંબર આપેલા છે તેના છેલ્લા અંક અનુસાર દિવસ નક્કી કરવામાં આવ્યા છે. આ અંક પ્રમાણે જે-તે વ્યક્તિને અનાજ આપવામાં આવશે. આ વિતરણ વ્યવસ્થા અને આંકડાની માહિતી નીચે જણાવ્યાનુસાર છે.
APL-1 રેશનકાર્ડ ધારકોના કાર્ડના છેલ્લા અંક અને અનાજ વિતરણના દિવસની માહિતી
જેમનો છેલ્લો અંક 1 અને 2 છે તેમણે તા. 13 એપ્રિલ-2020
જેમના છેલ્લા અંક 3 અને 4 છે તેમણે તા. 14 એપ્રિલ-2020
5 અને 6 અંક હોય તેમણે તા. 15 એપ્રિલ 2020
7 અને 8 છેલ્લા અંક ધરાવતા કાર્ડધારકે તા. 16 એપ્રિલ 2020
9 અને 0 છેલ્લો આંક હોય તેવા ધારકને તા. 17 એપ્રિલ 2020
ઉપરોક્ત પાંચ દિવસ દરમિયાન જો કોઈ કારણોસર કોઈ પરીવાર અનાજ વિતરણનો લાભ ન મેળવી શકે તો એવા લાભાર્થીઓને તા. 18 એપ્રિલ 2020ના દિવસે અનાજ વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત લાભાર્થી જ્યારે અનાજ લેવા જાય ત્યારે તેણે પોતાના રેશનકાર્ડ ઉપરાંત આધારકાર્ડ સાથે રાખવું જરૂરી છે.