IMAએ કેન્દ્ર સરકારને કર્યો સવાલ : જો આયુર્વેદ ડોક્ટરો સર્જરી કરશે તો પછી NEETની અગત્યતા શું રહેશે?
કેન્દ્ર સરકારે આયુર્વેદ ડોક્ટરને લઈને મોટો નિર્ણય લીધો છે. આયુર્વેદની ડિગ્રી ધરાવતા ડોકટરો હવે જનરલ અને ઓર્થોપેડિક સર્જરીની સાથે આંખ, કાન અને ગળાની સર્જરી પણ કરી શકશે. સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિસિનના જણાવ્યા પ્રમાણે સરકાર તરફથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ પીજીના વિદ્યાર્થીઓને શસ્ત્રક્રિયા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવશે.
નોટિફિકેશનમાં 39 જનરલ સર્જરી પ્રક્રિયાઓની યાદી રજૂ કરી
તો બીજી તરફ ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઈએમએ)એ માગણી કરી છે કે સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિસિન (સીસીઆઈએમ)નું એ નોટિફિકેશન પરત લેવું જોઈએ, જેમાં આયુર્વેદના સ્નાતકોત્તર ડોક્ટરોને જનરલ સર્જરી કરવા માટે તાલીમ આપવા મંજૂરી અપાઈ છે. તેણે કહ્યું હતું કે આ તબીબી શિક્ષણ કે પ્રેક્ટિસનું ‘ખીચડીફિકેશન’ છે. આયુષ મંત્રાલયને આધીન ભારતીય ચિકિત્સા પ્રણાલીઓના નિયમન સાથે સંકળાયેલ સીસીઆઈએમએ 20 નવેમ્બરે જારી કરેલા નોટિફિકેશનમાં 39 જનરલ સર્જરી પ્રક્રિયાઓની યાદી રજૂ કરી હતી, જેમાંથી 19 પ્રક્રિયા આંખ, કાન, નાક અને ગળા સાથે સંબંધિત છે. આ માટે ઈન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન) રેગ્યુલેશન્સ, 2016માં સંશોધન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓને શસ્ત્રક્રિયા વિશે ભણાવવામાં આવતું હતું
તમને જણાવી દઈએ કે આયુર્વેદના વિદ્યાર્થીઓને શસ્ત્રક્રિયા વિશે ભણાવવામાં તો આવતું હતું, પરંતુ તેઓ શસ્ત્રક્રિયા કરી શકે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટ ગાઈડલાઈન નહોતી. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામા બાદ હવે આયુર્વેદના ડોકટરો પણ સર્જરી કરી શકશે. સરકારની સૂચના મુજબ આયુર્વેદના પીજીના વિદ્યાર્થીઓને આંખ, નાક, કાન, ગળા તેમજ સામાન્ય સર્જરી માટેની વિશેષ તાલીમ આપવામાં આવશે.
આઈએમએ એ આ પગલાની નિંદા કરી
આઈએમએ દ્વારા 22 નવેમ્બરે આ પગલાની નિંદા કરાઈ હતી અને ચિકિત્સા પ્રણાલીઓના મિશ્રણને પાછળ ધકેલનારું અને જીવલેણ પગલું ગણાવ્યું હતું. તેણે એક નિવેદનમાં કહ્યું હતું કે આ મેડિકલ એજ્યુકેશન અને પ્રેક્ટિસના ‘ખીચડીફિકેશન’નો પ્રયાસ છે. દેશનો સમગ્ર આધુનિક મેડિકલ વ્યવસાય આ પ્રકારની ચીજોથી પોતાને છેતરાયેલો અનુભવે છે. તેણે સંબંધિત નોટિફિકેશન પરત લેવા માટે માગણી કરી છે. આઈએમએ દ્વારા સવાલ ઉઠાવાયો છે કે જો આ પ્રકારના શોર્ટક્ટસને માન્યતા આપવામાં આવશે તો પછી NEETની અગત્યતા શું રહેશે? તેણે કહ્યું હતું, ‘એ વિવિધ પદ્ધતિઓની ઘાલમેલને રોકવાનો કોઈપણ ભોગે પ્રયાસ કરશે. દરેક સિસ્ટમને એના જોરે આગળ વધવા દેવી જોઈએ.
આયુર્વેદ સંસ્થાઓમાં પહેલેથી ઓપરેશન થાય છે
તો બીજી તરફ આ વિવિદ વચ્ચે સીસીઆઈએમના સંચાલકમંડળના પ્રમુખ વૈદ્ય જયંત દેવપૂજારીએ જણાવ્યું હતું કે આયુર્વેદિક સંસ્થાઓમાં 20 વર્ષથી ઓપરેશન થાય છે અને આ નોટિફિકેશન માત્ર તેને કાનૂની ઓપ આપે છે. તેમના મતે આયુર્વેદના ડોક્ટરો માટે સર્જરી કરવી તે કોઈ નવી વાત નથી.
આયુષ મંત્રાલય આપ્યું આ નિવેદન
તો બીજી તરફ આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ કહ્યું હતું કે સીસીઆઈએમના નોટિફિકેશનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર દર્શાવાયો નથી કે કોઈ નવો નિર્ણય નથી. તેમણે કહ્યું હતું કે નોટિફિકેશન આયુર્વેદ ડોક્ટરો માટે ઓપરેશનનાં તમામ ક્ષેત્રો ઓપન કરતું નથી, પણ તેમને કેટલીક ખાસ ચીજોના ઓપરેશન કરવાની અનુમતિ આપે છે. કોટેચાએ સ્પષ્ટ કર્યું હતું કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરનારા તમામ તબીબોને ઓપરેશન કરવાની અનુમતિ નથી, પરંતુ જેમણે શલ્ય અને શલ્ક્યમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે, માત્ર તેઓ જ આ ઓપરેશન કરી શકશે.
દેશમાં ડોક્ટરોની અછત દૂર થશે
કેન્દ્ર સરકારના આયુર્વેદના ભૂતપૂર્વ સલાહકાર ડો. શર્માએ સરકારના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી હતી અને તેને એક સીમાચિહ્નરૂપ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે દેશ હાલમાં સર્જનોની અછતનો સામનો કરી રહ્યો છે. સરકારના આ નિર્ણયથી દેશમાં સર્જનોની અછત દૂર થશે. આ સાથે, છેવાડાના વિસ્તારોના દર્દીઓએ શહેરમાં જવાની જરૂર નહિં પડે અને તેઓ તેમના વિસ્તારમાં ઉચ્ચ સ્તરની સારવાર મેળવી શકશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત