કપરા ચઢાણ પાર કરે તો ભક્તને થાય છે આ ચમત્કારી ગણપતિના દર્શન, જાણો મહિમા
10 સપ્ટેમ્બરથી દેશભરમાં ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે. થોડા જ દિવસોમાં ગણેશજી લોકોના ઘરેથી અને સાર્વજનિક ગણેશ ઉત્સવોમાંથી વિદાય લેશે. ગણેશોત્સવનો આ પર્વ ખૂબ જ ખાસ હોય છે. કારણ કે વિધ્નહર્તા ગણેશજીને દરેક વ્યક્તિ પુજે છે અને ગણેશોત્સવમાં તો તેમના વિશેષ આશીર્વાદ મળી જાય છે.
ગણેશોત્સવ દરમિયાન દેશભરમાં આવેલા ગણેશ મંદિરોમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આવા સમયે આજે તમને આવા જ એક ખાસ ગણેશ મંદિર વિશે જણાવીએ જે અન્ય મંદિરો કરતાં ખૂબ જ અનોખું છે અને ખાસ પણ છે.
આ મંદિર આવેલું છે કાલીસિંઘ નદીના કિનારે મુકંદરા પર્વતમાળાઓમાં. આમ તો જે રીતે અહીં ગણેશજીની પ્રતિમા જોવા મળે છે તે જોતાં કહી શકાય કે આ આખો પર્વત જ મંદિર છે કારણ કે પર્વત માળા વચ્ચે ગણપતિના આકારની પ્રતિકૃતિ સમાન વિશે મૂર્તિના દર્શન થાય છે.
આ જગ્યા ખૂબ દુર્ગમ સ્થાને આવેલી છે તેથી અજાણી વ્યક્તિ અહીં સરળતાથી પહોંચી શકતી નથી. અહીં પહોંચવા માટે નદી પાર કરવી પડે છે અને પર્વતના ખડકો વચ્ચેથી પસાર થવું પડે છે. પરંતુ અહીં પહોંચવા સુધીના તમામ કષ્ટ દૂર થઈ જાય છે આ વિશાળ મૂર્તિના દર્શન સાથે જ.
45 ફૂટ ઊંચા પર્વત પર ગણેશજીની 30 ફૂટની પ્રતિમા છે. આ પ્રતિમા સ્વયંભૂ છે અને સ્થાનિક લોકો તેને પ્રકટ ગણપતિ તરીકે પૂજે છે. આ જગ્યા સાથે સ્થાનિક લોકોની અતૂટ આસ્થા જોડાયેલી છે. લોકો દરેક શુભ કાર્ય પર અહીં દર્શન કરવા આવે છે. માનવામાં આવે છે કે આ ગણેશજી મનની ઈચ્છા પણ તુરંત પૂર્ણ કરે છે.
પર્વતના પાંચ ખડક પર ગણપતિજીના કાન, માથું, લલાટ અને સૂંઢ બનેલી દેખાય છે. આ સ્થળ બલિંડા ઘાટથી અંદાજે 2 કિમી દૂર છે. અહીં પહોંચવા માટે કોઈ પાક્કો રસ્તો હજુ બન્યો નથી અહીં કાચા રસ્તા પર પગપાળા જવું પડે છે. તેમ છતાં દર વર્ષ અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે.