19 ઓક્ટબર સુધી ભારે વરસાદ થવાની હવામાન વિભાગે કરી આગાહી
દેશના અનેક ભાગોમાં દિવાળી નજીક હોવા છતાં વરસાદ જવાનું નામ નથી લઈ રહ્યો. કેટલાક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આસો મહિનામાં પણ ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. કેરળના તો 5 જિલ્લાઓમાં શનિવારે રેડ એલર્ટ જાહેર કરાયું હતું જ્યારે સાત જિલ્લામાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ હતું. આ તમામ વચ્ચે કેરળના ઈડુક્કીમાં અનેક લોકોના મોત પણ થયા છે. જ્યારે કોટ્ટાયમમાં ભૂસ્ખલનની અનેક ઘટના બની છે જેમાં કેટલાક લોકો લાપતા છે.
સ્થિતિ એવી છે કે કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને બચાવ અભિયાનમાં ભારતીય વાયુ સેનાની મદદ માંગી છે. તેવામાં ભારતના હવામાન વિભાગે આગાહી કરી છે કે માત્ર કેરળમાં જ નહીં પરંતુ આગામી 2 દિવસ એટલે કે 19 ઓક્ટોબર સુધી મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, ઉત્તરાખંડ, ઓરિસ્સા, છત્તીસગઢ, જમ્મૂ અને કાશ્મીર તેમજ લદ્દાખ સહિત 16 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ સ્થિતિ 19 ઓક્ટોબર સુધી રહેશે.
હવાના હળવા દબાણના કારણે આ તમામ ક્ષેત્રોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર હવાનું હળવું દબાણ દક્ષિણ પૂર્વ અરબ સાગરમાં અને કેરળની ઉપર સર્જાયું છે. આ સિવાય એક સિસ્ટમ ઉત્તરી કિનારા અને તેની આસપાસના વિસ્તારમાં છે. આ ચક્રવાતી સર્કુલેશન ઉત્તર-પશ્ચિમ એટલે કે પશ્ચિમ ઉત્તર પ્રદેશ તરફ આગળ વધે તેવી સંભાવના છે.
કેરળ અને દક્ષિણ અને મધ્ય ભાગમાં શનિવારે વરસાદ થયો હતો. જેના કારણે અનેક જગ્યાઓએ પુરની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે કેટલીક જગ્યાઓએ ભૂસ્ખલન થયું હતું. આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે જ્યારે 12થી વધુ લોકો લાપતા છે. વરસાદના કારણે અહીં સ્થિતિ ભયંકર થઈ છે જેના કારણે રાજ્ય સરકારે રાહત અને બચાવ કાર્ય માટે સેનાની મદદ માટે અનુરોધ કર્યો છે. રાજ્યના મોટાભાગના ડેમ પણ પોતાની ક્ષમતાથી વધુ ભરાઈ ચુક્યા છે. ભૂસ્ખલનના કારણે પર્વત પરથી મોટા પથ્થર નીચે વસેલા ગ્રામ્ય વિસ્તાર પર ધસી રહ્યા છે જેના કારણે લોકો પર જોખમ તોળાઈ રહ્યું છે.
કોટ્ટયમ, ઈડ્ડુકી અને પથનમથિટ્ટા જિલ્લાના પર્વતીય વિસ્તારમાં એવી સ્થિતિ સર્જાઈ છે કે જે સ્થિતિ વર્ષ 2018 અને 2019માં ભયંકર પુર સમયે હતી. જો કે અધિકારીઓનું કહેવું છે કે સ્થિતિ નિયંત્રણમાં છે અને લોકોએ ભયભીત થવાની જરૂર નથી. પરંતુ હવામાન વિભાગે કરેલી હજુ પણ ભારે વરસાદની આગાહીથી ચિંતા વધી છે.