હૈદરાબાદના એક પ્રાઇવેટ ડેવલોપરે ખરીદ્યું ભાગેડુ માલ્યાનું કિંગફિશર હાઉસ
આપણે સૌ જાણીએ છીએ કે આપણા ગુજરાતમાં દારૂબંધી છે. આ દારૂબંધીનો કેટલો કડકાઇથી અને ચુસ્ત રીતે પાલન કરાવવામાં આવે છે તે એક અલગ વિષય છે. પરંતુ દારૂ ઘર, પરિવાર અને સમાજને બરબાદ કરી નાંખનારું એક અતિ ભારે ખરાબ દુષણ છે. જો કે ભારતના બધા રાજ્યોમાં દારૂબંધી નથી. અને આ દુષણને સમાજમાં પ્રસાર કરવાનો ધંધો કરનારા ભાગેડુ વિજય માલ્યા હાલ પોતાના કરેલા ભોગવી રહ્યો છે તેવું લાગે છે.
લેંડર્સને આખરે દારૂ વેંચવાના ધંધાર્થી એવા ભાગેડુ વિજય માલ્યાની માલિકી ધરાવતી અને હાલમાં બંધ થઈ ગયેલી કિંગફિશર એરલાઇનના મુખ્યાલય કિંગફિશર હાઉસને વેંચી નાખવામાં સફળતા મળી છે. લેંડર્સએ કિંગફિશર હાઉસને હૈદરાબાદના એક પ્રાઇવેટ ડેવલોપરને 52 કરોડ રૂપિયામાં વેંચી હતી. આ પહેલા કિંગફિશર હાઉસને વેંચવાના અનેક પ્રયાસો બાદ પણ હાઉસને ખરીદવા માટે કોઈ ગ્રાહક મળી શક્યો નહોતો.
રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝના એક્સપર્ટના હવાલાથી એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, શરૂઆતમાં બેન્કોએ એક અરિયલિસ્ટિક રિઝર્વ પ્રાઇસ નક્કી કરી હતી કારણ કે પ્રોપર્ટીની અનેક સીમાઓ હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે પ્રોપર્ટીના વિકાસની કોઈ વધુ શક્યતા નથી કારણ કે આ મુંબઇ એરપોર્ટના બહારના વિસ્તારમાં સ્થિત છે. પ્રોપર્ટી મુંબઈમાં એરપોર્ટ પાસે આલીશાન વિલે પાર્લે વિસ્તારમાં આવેલી છે.
અનેક વખત હરરાજીના પ્રયાસો રહ્યા હતા નિષ્ફળ
લેંડર્સએ માર્ચ 2016 માં પ્રથમ વખત 150 કરોડ રૂપિયાની રિઝર્વ પ્રાઇસ સાથે પ્રોપર્ટીની હરરાજી કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પણ ઘણી વખત પ્રોપર્ટીની હરરાજી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેમાં લેંડર્સને સફળતા નહોતી મળી. ભાગેડુ માલ્યાને વિલફુલ ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યો છે અને કિંગફિશર એરલાઇન સંબંધિત લોનની ચૂકવણીમાં ચૂક બદલ ભારતીય અધિકારીઓ દ્વારા વાંછિત છે. કિંગફિશર એરલાઇનને 2012 માં બંધ કરી દેવામાં આવી હતી.
કિંગફિશર એરલાઇન પર ભારતીય સ્ટેટ બેન્કના નેતૃત્વમાં ભારતમાં બેંકોના એક કંસટૉરરીયમના લગભગ 10 હજાર કરોડ રૂપિયા બાકી છે. ભાગેડુ માલ્યા યુકેમાં પ્રત્યર્પણ કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે અને 2019 માં ભારતમાં એક ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવામાં આવ્યો છે.
કિંગફિશર હાઉસમાં એક બેસમેન્ટ, એક ગ્રાઉન્ડ ફ્લોર, એક અપર ગ્રાઉન્ડ ફ્લોર અને એક અપર ફ્લોર છે. આ હાઉસનું કુલ ક્ષેત્રફળ 1586 વર્ગ મીટર છે. અને તેને 2402 વર્ગ મીટરના ભૂખંડ પર બનાવવામાં આવ્યુ છે.
બ્રિટનની હાઇકોર્ટએ ભાગેડુ માલ્યાને જાહેર કર્યો દિવાળીયો
નોંધનીય છે કે ગયા મહિને બ્રિટનની હાઈ કોર્ટે ભાગેડુ વિજય માલ્યા સામે ” દિવાળીયો આદેશ ” જાહેર કર્યો હતો. ત્યારબાદ ભારતીય બેંકોને વિશ્વભરમાં તેમની સંપત્તિ જપ્ત કરવાની પરવાનગી મળી હતી. ભાગેડુ કારોબારી વિજય માલ્યાને લોન આપનાર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના નેતૃત્વ વાળા બેંકોના ખાતામાં વધુ 792 કરોડ રૂપિયા શિફ્ટ કરવામાં આવ્યા હતા.