દેશના પ્રથમ સ્ક્રેપ યાર્ડ વિશે જાણો બધું જ એક ક્લિક પર
તાજેતરમાં જ દેશના વડાપ્રધાને જૂના વાહનો માટે સ્ક્રેપ પોલિસી જાહેર કરી હતી. આ માટેની તૈયારીઓ શરુ પણ કરી દેવામાં આવી છે. આ પોલિસીની જાહેરાત સમયે એમ પણ જાહેર કરવામાં આવ્યું હતું કે અલંગમાં જ સૌથી મોટું સ્ક્રેપ યાર્ડ બનશે. એટલે કે ભાવનગર જિલ્લામાં દેશનું પ્રથમ વ્હીકલ સ્ક્રેપ યાર્ડ બનશે. જો કે અલંગમાં આ યાર્ડ ક્યાં બનશે તે નક્કી કરવામાં આવ્યું નથી. પરંતુ સરકારની વિચારણા છે કે આ સ્ક્રેપ યાર્ડ પણ જીઆઈડીસી અનુસાર કાર્યરત કરવામાં આવે.
ભાવનગર જિલ્લાનું અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ તરીકે પ્રખ્યાત છે અને આ કામ વર્ષોથી અહીં થાય છે. તેવામાં હવે અહીં વ્હિકલ સ્ક્રેપ યાર્ડ પણ ધમધમતું થશે. આ નવી શરુઆતથી ભાવનગર જિલ્લામાં રોજગારીની તકો પણ વધશે. જાણવા મળતી માહિતી અનુસાર રાજ્ય સરકારે કચ્છ-ભાવનગર ખાતે બનનાર વ્હીકલ સ્ક્રેપ યાર્ડ માટે સાત જેટલા ઉદ્યોગપતિઓ સાથે કરાર કર્યા છે. આ માટે ભાવનગરનું ચેમ્બર ઓફ કોમર્સ સરકારના કાર્યક્રમમાં ભાગ લેવા અમદાવાદ પણ પહોંચ્યું હતું. જાણવા મળે છે તે સ્ક્રેપ યાર્ડ માટે સરકારે જેમની સાથે કરાર કર્યા છે તેમાંથી ત્રણ ઉદ્યોગપતિઓ ભાવનગરના છે. આ ત્રણ ઉદ્યોગપતિઓમાં ભાવનગરની મોનો સ્ટીલ કંપની, મોડેસ્ટ કંપની અને માસ્કોટ કંપનીના નામ ચર્ચામાં છે.
હાલ આ સ્ક્રેપ યાર્ડ ક્યાં બનશે તે નક્કી કરવામાં આવ્યું નથી પરંતુ તેના માટે સરકારે ભાવનગરના ઘાંઘળી, માઢિયા અને અલંગ પાસે જમીનો જોવામાં આવી રહી છે. જો કે હાલમાં તો સ્ક્રેપ યાર્ડ માટે કોઈપણ જમીન ફાઈનલ કરવામાં આવી નથી. પરંતુ શક્યતા એવી સેવાઈ રહી છે કે અલંગ પાસે જ સ્ક્રેપ યાર્ડ બને તેવી સંભાવનાઓ સૌથી વધુ પ્રબળ છે.
આ સ્ક્રેપ યાર્ડ બનશે તેના ફાયદા શું થશે ?
સૌથી પહેલો ફાયદો એ થશે કે 15 વર્ષ જુના વાહનો સ્ક્રેપમાં જશે અને ભાવનગરની મિલને દેશમાંથી જ સ્ક્રેપ મળી રહેવાથી સ્ટીલ ઈમ્પોર્ટ કરવું પડશે નહીં. 15 વર્ષ જૂના વાહનો સ્ક્રેપમાં જવાથી રસ્તા નબળા વાહનોથી થતા ટ્રાફિક જામ અને અકસ્માત ઘટી જશે. સૌથી મોટો ફાયદો એ થશે કે જૂના વાહનો દૂર થવાથી વાતાવરણ શુદ્ધ થશે. હવામાંથી પ્રદુષણ ઘટી જશે અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો હળવી થશે.
સ્ક્રેપ યાર્ડના ગેરફાયદા
વાહનોના માટે સરકારે જાહેર કરેલા નિયમથી 15 વર્ષના જુના વાહનોને લોકોને ફરજીયાત સ્ક્રેપ કરવા પડશે. ત્યારબાદ લોકોને નવા વાહનો ખરીદવા પડશે અથવા જો જુના વાહન ચલાવવા હશે તો સરકારે જાહેર કરેલા ટેક્સ સહિતના કર ચુકવવા પડશે. આમ કરવાથી વ્યક્તિ પર આર્થિક ભારણ વધી જશે.