એક કરવા ચોથ આવી પણ છે, પતિ પૂરી કરી રહ્યો છે પત્નીની તે ઇચ્છા જે અંતિમ હતી
રવિવારે કરવા ચોથનુ વ્રત હતું.. અસંખ્ય પરિણીતાઓએ પોતાના પતિના દિર્ઘાયુ માટે વ્રત કર્યું.. આખો દિવસ નિર્જળા ઉપવાસ કર્યો.. અને પૂજા અર્ચના કરી., રાત્રે જ્યારે ચંદ્રમાંએ દેખા દીધી ત્યારે ચાળણીમાં ચંદ્ર અને પછી પોતાના પતિનો ચહેરો જોયો.. અને પતિદેવોએ પત્નીઓને જળ ગ્રહણ કરાવીને ઉપવાસ ખોલાવ્યો.. ખરેખર તે સ્ત્રીઓ મહાન છે જેમણે પોતાના પતિના માટે આવા કપરાં તપ કર્યા.. પરંતુ આજે અમે તમને એક એવા પતિને મળાવવા જઇ રહ્યા છીએ.. જે પોતાની પત્નીની અંતિમ ઇચ્છા પૂરી કરી રહ્યો છે.. કદાચ આ પતિ પણ પોતાની પત્ની માટે કરવાચોથનુ વ્રત કરી રહ્યો છે..
મહિલાઓ કરવાચોથનું વ્રત કરી પતિના આયુષ્ય માટેની કામના કરે છે. જોકે કરવાચોથે બીમારીથી મૃત્યુ પામેલી પત્નીની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા માંજલપુરના આધેડ 4 વર્ષથી સામાન્ય લોકોને જમાડીને સેવા કરે છે. પોતે દિવસે સામાન્ય લારી ચલાવી તેની આવકથી ગરીબ-નિઃસહાય લોકોને બે સમયનું ભોજન આપે છે.
માંજલપુરમાં રહેતી પત્નીએ અંતિમ સમયે દર્દીનાં સ્વજનોની તકલીફો દૂર કરવા કહ્યું હતું
માંજલપુર ખાતે રહેતા અને કુબેરભવન પાછળ સેવઉસળની લારી ચલાવતા 58 વર્ષના દિનેશભાઇ શર્માએ સયાજીમાં આવતા દર્દીનાં પરિવારજનોને જમવાની તકલીફ ન પડે એ માટે રોજ 200 લોકોને જમાડવાની વ્યવસ્થા ઊભી કરી છે. ગંભીર બીમારીથી પીડાતાં તેમનાં પત્ની અનિતાબેન શર્માની સારવારમાં તેમની દુકાન અને મકાન વેચાયું હતું. 8 વર્ષની સારવાર બાદ વર્ષ 2015ના 10 મહિનામાં કરવાચોથે તેમની પત્નીએ અંતિમ શ્વાસ લીધા.
સારવારના અંતિમ દિવસોમાં અનિતાબેને સયાજીમાં આવતા અન્ય દર્દીનાં પરિજનોને પડતી પરેશાની જોઈ પતિ દિનેશભાઇ શર્માને આ લોકો માટે જમવાની વ્યવસ્થા થઈ શકે તો એ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પત્નીની ઈચ્છાને દિનેશભાઈએ જીવનનો મંત્ર બનાવ્યો અને પોતે દિવસ દરમિયાન જે પણ કમાણી કરે એને નિરાશ્રિતો અને નિઃસહાય લોકોના જમવા પાછળ ખર્ચવાની નેમ લીધી.
પરિવારમાં 4 પુત્રીની જવાબદારી સાથે દિનેશભાઇ શર્માએ આ કાર્ય ઉપાડ્યું અને 4 વર્ષથી તેઓ સવારે 75 લોકો અને સાંજે 125થી 150 લોકોની આંતરડી ઠારે છે. તેમણે શ્રીકૃષ્ણ વાસુદેવાય સેવા ટ્રસ્ટ બનાવ્યું છે. સેવાયજ્ઞમાં તેમની 4 પુત્રી અને 2 જમાઈ પણ જોડાયાં છે. પંચમુખી હનુમાનજીના મંદિર સામે સવારે બે રોટી અને લસણની ચટણી અને સાંજે કઢી, ખીચડી કે દાળભાત તેમજ શાક અને રોટલી રાખે છે.