150 ભારતીઓ સાથે અફઘાનિસ્તાનથી પ્લેનમાં આવ્યા 3 કૂતરાઓ, જેને અનેકવાર મોટી દુર્ઘટનાઓ અટકાવી હતી
અફઘાનિસ્તાન પર તાલિબાનોએ કબજો કરી લીધો છે. અમેરિકી સેનાની વાપસી પછી થોડા દિવસો બાદ તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવી લીધો છે. તેવામાં હવે અફઘાનિસ્તાનમાંથી ભારત સહિત વિશ્વભર દેશોના લોકો ત્યાંથી નીકળી જવા તલપાપડ થયા છે. ભારત સરકાર પણ અફઘાનિસ્તાનથી ભારતીયોને સુરક્ષિત પરત લાવવા એકશન પ્લાન બનાવી ચુકી છે. તાજેતરમાં જ કાબુલના દૂતાવાસમાંથી ભારીતય કર્મચારીઓને પરત લાવવામાં આવ્યા હતા. અફઘાનિસ્તાનથી પરત ફરેલા આ લોકો સાથે અફઘાનિસ્તાનના દૂતાવાસમાં સુરક્ષા માટે તૈનાત ત્રણ સ્નિફર ડોગ્સને પણ ભારત પરત લાવવામાં આવ્યા છે. આ ત્રણેય ડોગના નામ માયા, રૂબી અને બોબી છે.
મંગળવારે જ્યારે 150 ભારતીયો સાથે વાયુસેનાના વિમાન દ્વારા કાબુલથી ભારત પહોંચ્યા ત્યારે તેમની સાથે ત્રણેય ડોગ્સને પણ ભારત લાવવામાં આવ્યા હતા. હાલ તેમને આઈટીબીપીના કેમ્પમાં રાખવામાં આવ્યા છે. માયા, રૂબી અને બોબી કમાન્ડોની ટુકડી સાથે મંગળવારે ગાઝિયાબાદના એરફોર્સ બેઝ પર ઉતર્યા હતા. ત્રણેય ભારતીય દૂતાવાસની સુરક્ષા હેઠળ અફઘાનિસ્તાનમાં તૈનાત હતા અને ત્યાં પણ તેમણે અધિકારીઓની સુરક્ષામાં મદદ કરી હતી.
એક ઘટના એવી બની હતી કે જેમાં ત્રણેય ડોગ્સે કર્મચારીઓનો જીવ બચાવ્યો હતો. જાણવા મળતી માહિતી અનુસાર થોડા સમય પહેલા કાબુલમાં ભારતીય દૂતાવાસ પાસે વિસ્ફોટકો મુકવામાં આવ્યા હતા જેની ઓળખ કરી અને તેમણે ભારતીય સ્ટાફ અને ભારતીય દૂતાવાસના અફઘાન સ્ટાફને મદદ કરી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર દૂતાવાસ નજીક એક બાસ્કેટમાં વિસ્ફટો રાખવામાં આવ્યા હતા. આ વિસ્ફોટકોનો અણસાર લેબ્રાડોર રુબીને આવી ગયો અને તેણે આ અંગે કર્મચારીઓને જાણ કરી. બાસ્કેટમાં વિસ્ફોટક હોવાની ગંધ પારખી ગયેલી રુબીના ઈશારા બાદ બોમ્બ ડિફ્યુઝરને બોલાવવામાં આવ્યા અને બોમ્બને નિષ્ક્રીય કરવામાં આવ્યો.
જે ત્રણ ડોગ્સ અફઘાનિસ્તાનમાં પોતાની સેવા આપી રહ્યા હતા તેમાં રુબી લેબ્રાડોર, માયા જર્મન શેફર્ડ અને બોબી ડોબરમેન છે. અફઘાનિસ્તાનમાં અનેક વખત આ ત્રણેય ડોગ્સે તેમની સતર્કતાના કારણે મોટી દુર્ઘટનાઓ અને હુમલાને થતા અટકાવ્યા છે. રૂબીના કારણે એક વખત દૂતાવાસ નજીર હથિયાર સાથે પહોંચેલો શખ્સ પણ ઝડપાઈ ગયો હતો. આ ઘટનાથી મોટી જાનહાનિ અને દુર્ઘટના ટળી હતી. મહત્વનું છે કે આ ત્રણ શ્વાનને હરિયાણાના પંચકુલામાં આવેલી ડોગ ટ્રેનિંગ સ્કૂલમાં તાલીમ આપવામાં આવી છે. આઈટીબીપીના જણાવ્યા અનુસાર જ્યારે ત્રણ ડોગ ભારત પહોંચ્યા હતા ત્યારે તેઓ ખૂબ ખુશ દેખાઈ રહ્યા હતા.
જાણવા એમ પણ મળ્યું છે કે તાલિબાનીઓએ આ ત્રણેય ડોગીને રમાડ્યા હતા. ભારતીય દૂતાવાસમાં 150 અધિકારીઓ પરિવાર સાથે હતા તેમની રક્ષા પણ આ ડોગીએ કરી હતી. બહાર ફરતા તાલિબાનીઓએ આ ભારતીય ડોગ્સને નુકસાન પહોંચાડ્યું નહીં અને તેમની સાથે ગમ્મત કરી હતી.