અમદાવાદની 70 ટકા વસતિમાં એન્ટિબોડી ડેવલપ થઈ, પણ 2020ની સામે 2021ના એપ્રિલમાં જ કેસની સંખ્યામાં થયો મોટો વધારો, આંકડો જાણીને ફાટી જશે આંખો
અમદાવાદ શહેરમાં રાજ્યમાં કોરોનાની શરૂઆત થઈ ત્યારથી જ સંક્રમણનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું છે. ગુજરાતના ચાર મોટાં શહેરોમાંથી અમદાવાદમાં જ સૌથી વધુ કોરોનાના કેસ તેમજ મોત નોંધાયાં છે.
હવે અમદાવાદ શહેરમાં ધીરે-ધીરે કોરોના સંક્રમણનું પ્રમાણ ઘટી રહ્યું છે. બીજી તરફ, AMC દ્વારા મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં તેમજ જૂનની શરૂઆતમાં પાંચમી વખત સીરો-સર્વે કરવામાં આવ્યો હતો. જેમા અમદાવાદની અંદાજે 70 ટકા વસ્તીમાં એન્ટિબોડી ડેવલપ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. પણ એન્ટિબોડી વધતાં સંક્રમણને હળવાશમાં ન લેવાની જરૂર નથી. આ માટે એએમસી દ્વારા 5મી વખત સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં 15 હજારથી વધુ અમદાવાદીઓ જોડાયા હતા.
અત્યાર સુધીમાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા કોરોનાને લગતા 5 સર્વે કરવામાં આવ્યા છે, જેમાં હજારો લોકો જોડાયા હતા. જૂન 2020માં પહેલો સીરો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં 18 ટકા અમદાવાદીઓમાં એન્ટિબોડી વિકસિત થઈ હોવાનું જાણવા મળ્યું હતું. એ પછી સતત 5 વખત સીરો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2021માં યોજાયેલા ચોથા સર્વેમાં 28 ટકા લોકોમાં કોરોના સાથે એન્ટિબોડી ડેવલપ થઈ ગઈ હતી. તો એપ્રિલ 2021માં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ગયા વર્ષના નવેમ્બર-ડિસેમ્બર કરતાં પણ 16 ગણી વધારે થઈ ગઈ હતી, જેને કારણે લોકોમાં એન્ટિબોડી વધારે વિકસિત થઈ હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીના જણાવ્યા અનુસાર ઓગસ્ટ 2020માં કરવામાં આવેલા સર્વેમાં અમદાવાદમાં 23 ટકા લોકોમાં એન્ટિબોડી ડેવલપ થઈ ગઈ હતી, જ્યારે ઓક્ટોબરના સર્વેમાં ટકાવારી 1 ટકો વધીને 24 ટકાની આસપાસ નોંધાઈ હતી.
આ સર્વેમાં એવું પણ જાણવા મળ્યું છે કે થોડાં અઠવાડિયાં પછી કોરોનાની એન્ટિબોડી ગાયબ થઈ જાય છે. કોરોનાની નવી લહેર આવે એ પહેલા એની સામે લડવા માટે વેક્સિનેશન અને માસ્ક જ એકમાત્ર હથિયાર છે.
અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2, 37, 062 થયો છે, જેમાંથી 1,74,180 કેસ માત્ર બીજી લહેર દરમિયાન નોંધાયા છે. એ જ રીતે કુલ 2, 31, 586 ડિસ્ચાર્જ દર્દીમાંથી 1,71,660 દર્દી બીજી લહેર દરમિયાન કોરોનાને હરાવી ઘરે પરત કર્યા છે.
કોરોના દરમિયાન મૃત્યુઆંક પર નજર કરીએ તો અત્યાર સુધીમાં કુલ 3,379 લોકોનાં મોત થયાં છે, જેમાંથી 1065 લોકોએ બીજી લહેર દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો છે.
જો કે હવે અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ગઈકાલે શહેર અને જિલ્લામાં 100 દિવસ બાદ સતત ચોથીવાર 100થી ઓછા 64 નવા કેસ નોંધાયા છે. અગાઉ 1 માર્ચે 99 કેસ નોંધાયા હતા. જ્યારે 9 જૂને 98, 10 જૂને 90 અને 11 જૂને 72 કેસ નોધાયા હતા, જ્યારે 2 દર્દીનાં મોત થયાં છે.
ગુજરાત રાજ્યમાં અત્યારસુધીમાં 8, 19 ,871ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 9,991 થયો છે તેમજ અત્યારસુધીમાં 7, 99, 012 દર્દી ડિસ્ચાર્જ થયા છે.
એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 10, 863 એક્ટિવ કેસ છે, જેમાંથી 276 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે હજાર 10, 591 દર્દીની હાલત સ્થિર છે