ચૂંટણી પહેલા મોદીનો માસ્ટરસ્ટ્રોક, પાટીદાર MLA ભૂપેન્દ્ર પટેલને આપી ગુજરાતની કમાન
પીએમ મોદીએ ફરી એકવાર સરપ્રાઈઝ આપીને ચોંકાવી દેવાની તેમની જૂની સ્ટાઈલનો પરચો આપી દીધો છે. ગુજરાતના સીએમ પદ માટે ચાલી રહેલા તમામ નામોનો છેદ ઉડાડીને અમદાવાદ ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલના શિરે સીએમનો તાજ મૂકાયો છે.
સંવત્સરીના બીજા જ દિવસે સરદારધામના પીએમ દ્વારા ઉદ્ઘાટન બાદ સીએમ રુપાણીએ રાજીનામું આપી દીધું, જેના પછી મોડી સાંજે સમગ્ર મંત્રીમંડળે રાજીનામું આપી દીધું. મીડિયાના વિવિધ માધ્ય્મોમાં કોણ આગામી સીએમ બનશેને લઈને ઘણા નામો આગળ ચાલી રહ્યા હતા જેમાં સીઆર પાટિલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, ગોરધન ઝડફિયા અને પરસોત્તમ રુપાલા અને દીવ દમણ પ્રશાસક પ્રફુલ પટેલના નામો હતા,અને સાથે જ નાયબ સીએમ નીતિન પટેલનું નામ પણ આ રેસમાં હતું. પણ પીએમ મોદીએ તેમની સ્ટાઈલ પ્રમાણે કઈંક નવું જ કરવાની શૈલીનો પરિચય આપીને પાટીદાર લોપ્રોફાઈલ નેતા અને ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને ગુજરાતની કમાન સોંપી છે.
પાટીદાર સીએમની જૂની માગણીને સંતોષી એકદમ લોપ્રોફાઈલ રહી કોરોના કામગીરીમાં રુપાણી સરકાર સામેની પ્રજાની નારાજગીને પણ અહીં ભાજપ દ્વારા ડામવાનો પ્રયાસ કરાયો છે. 2022 પહેલા રાજ્યને 17માં મુખ્યમંત્રી મળ્યા છે, આમ હાલ તો પાટીદાર જ પાણીદાર બન્યા હોવાનો ઘાટ છે, જો કે નાયબ મુખ્યમંત્રીને લઈને હજુ સુધી કોઈ નામનો ખુલાસો કરાયો નથી, નાયબ મુખ્યમંત્રીના પદને લઈને યુપીની ફોર્મ્યુલા પ્રમાણે નિમણૂંક કરવાના અહેવાલ હતા જેમાં એક પદ ST અને એક પદ OBC ને આપવાની ચર્ચા ચાલી હતી. ભૂપેન્દ્ર યાદવ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ઔડાના ચેરમેન પણ રહી ચૂક્યા છે અને 2017માં ભાજપ માટે સૌથી વધુ મતોથી જીતેલા ધારાસભ્યમાંથી એક છે. તેઓ 1 લાખ કરતાં પણ વધુ મતોના અંતરથી જીત્યા હતા, અને કોંગ્રેસના શશિકાંત પટેલને હાર આપી હતી.
આ નામની પાછળ ક્યાંક ને ક્યાંક આનંદીબેન પટેલનો પણ પ્રભાવ રહ્યો હોવાનું અસંભવ નથી, કેમ કે ભૂપેન્દ્ર પટેલને આનંદીબેન પટેલના પ્રસ્તાવ બાદ જ ઘાટલોડિયા બેઠક પરથી ટિકિટ મળી હતી અને ઘાટલોડિયા આનંદીબેનની જ સીટ હતી.
આ પહેલા મુખ્યમંત્રી નક્કી કરવા માટે હાલ આલાકમાન તરફથી બે નિરીક્ષકોને મોકલવામાં આવ્યા જેમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી સામેલ છે. જેના પગલે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આ દરમિયાન રાજકીય હલચલ તેજ થઈ ગઈ. સીઆર પાટિલના નિવાસસ્થાને બેઠક બાદ નેતાઓ કમલમ આવવાનું શરુ થયું. સાથે જ કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી, કાર્યકારી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ સીઆર પાટીલ કમલમ્ પહોંચ્યા હતા. ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સંગઠનમંત્રી રત્નાકર સહિતના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા, જેમાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ પણ હાજર હતા. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સૌરભ પટેલ કમલમ પહોંચ્યા અને પછી કોર કમિટીની બેઠક થઈ જેના પછી ધારાસભ્ય દળની બેઠક થઈ.
આ બેઠકમાં નવા સીએમના નામનો પ્રસ્તાવ કાર્યવાહક સીએમ રુપાણીએ જ કર્યો અને તેમના નામ પર ચર્ચા થઈ. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રુપાલાએ પણ સંબોધન કર્યું હતું જેના પછી ગુજરાતના નવા મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવી. નવા સીએમ તરીકે ગાદીએ આવનાર ભૂપેન્દ્ર પટેલ પર જો કે જવાબદારીઓનું ભારણ વધી જશે, આ મામલે અગાઉની કોરોના કામગીરીથીમાં નબળી કામગીરીને લઈ જનતાની નારાજગીને દૂર કરવી પડશે તો સાથે જ સંગઠન અને કાર્યકર્તાઓનું સરકારમાં કશું ઉપજતું નથી એવી ધારણાને પણ ખોટી ઠરાવવી પડશે. આના માટે સીઆર પાટિલ અને કેન્દ્રીય નેતાગીરીને તો વિશ્વાસમાં લેવા જ પડશે, સાથે જ આગામી સંભવિત ત્રીજી લહેર અને તહેવારોની ઉજવણીને મંજૂરીના અઘરા પ્રશ્નો પણ હલ કરવા પડશે. આની સાથે જ જો નિયત સમયે ચૂંટણી થાય તો તેની વ્યૂહરચના અને જો ચૂંટણી આગળ કરવામાં આવે તો અંસતુષ્ટોને વિશ્વાસમાં લઈ જીતી શકે એવા લોકોને ટિકિટ અપાવવી તેમજ 150+નું સ્વપ્ન પૂરૂં કરવાની જવાબદારી તેમના પર છે.
આ વિરાટ અપેક્ષાઓ માટે તેમને અપેક્ષાકૃત ઓછો સમય મળ્યો છે, પણ હાલ ખાસ તો ભાજપથી નારાજ એવા પાટીદાર સમાજને સાધી તેને ફરીથી ભાજપ સમર્થિત કરવાની જવાબદારી વધુ રહેશે, બાકી આગળના સમયમાં ભૂપેન્દ્ર પટેલને માત્ર કેરટેકર સીએમ તરીકેની જ ભૂમિકા આપવામાં આવી છે કે પછી ચૂંટણીને લઈ અને સરકારના કામકાજમાં તેમને મુક્ત હાથ આપવામાં આવશે અને ખાસ તો મંત્રીમંડળની પસંદગીમાં પણ તેમની ભૂમિકા ક્યાં સુધીની રહે છે તે જાણવું રસપ્રદ બની રહેશે.