છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહેલી નુસરત જહાંને લઈ એક્સ પાર્ટનરે આપ્યું પોતાનું નિવેદન
બંગાળી ફિલ્મ અભિનેત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ નુસરત જહાંએ દીકરાને જન્મ આપ્યો છે. તેણે બાળકને ગુરુવારે બપોરે આપ્યો હતો. તેમને બુધવારે સાંજે કલકત્તામાં પાર્ક સ્ટ્રીટની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે તેમના બાળકનો જન્મ ગુરુવારે બપોરે 12:20 વાગ્યે થયો હતો.
હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર નુસરત જહાં અને તેમનું બાળક બંને સ્વસ્થ છે અને ડોક્ટરો બંનેના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે. આ દરમિયાન ગુરુવારે અભિનેત્રીના મિત્ર યશ દાસગુપ્તા પણ હોસ્પિટલમાં હાજર હતા.
બાળકના જન્મ બાદ નુસરત જહાંથી અલગ થયેલા નિખિલ જૈને અભિનેત્રી અને નવજાત બાળકને શુભકામનાઓ પાઠવી હતી. નિખિલે કહ્યું હતું કે, ‘અમારી વચ્ચે મતભેદો હોઈ શકે છે, તેમ છતાં હું નવજાત બાળક અને તેની માતાને શુભેચ્છા પાઠવું છું. હું બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરું છું.’
નુસરત જહાંએ તુર્કીમાં જૂન 2019માં ઉદ્યોગપતિ નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. આ ડેસ્ટિનેશન વેડિંગની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, પરંતુ એક વર્ષ પૂરું થાય તે પહેલા જ તેમના સંબંધો બગડી ગયા અને બંને અલગ રહેવા લાગ્યા. ત્યાર પછી નુરસાત જહાંએ એક નિવેદન બહાર પાડી તેણે પોતે જ તુર્કીમાં થયેલા લગ્નને અમાન્ય જાહેર કર્યા હતા. આ સાથે અભિનેત્રીએ એમ પણ કહ્યું હતું કે તે ગર્ભવતી છે અને નિખિલ જૈનથી અલગ રહે છે.
નુસરત જહાં ગર્ભવતી હોવાની વાત સામે આવ્યા બાદ નિખિલ જૈને પણ બંનેના ખરાબ ચાલી રહેલા સંબંધો પર પોતાનો પક્ષ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે, ‘તે અને નુસરત નવેમ્બર 2020 થી સાથે નથી.
નુસરત નિખિલનું ઘર છોડીને કલકત્તામાં તેના ઘરે આવી હતી. દરમિયાન તે યશ દાસગુપ્તા સાથે જયપુર અને અજમેર દરગાહ શરીફમાં પણ જોવા મળી હતી. આ પછી તેની બેબી બમ્પ સાથેની તસવીર વાયરલ થઈ હતી.
નુસરત જહાં છેલ્લા ઘણા સમયથી સતત કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. અગાઉ તુર્કીમાં થયેલા લગ્ન, લગ્ન બાદ અલગ થવું અને ત્યારબાદ બાળકને લઈને તે ચર્ચામાં રહી છે.