જાણો કયા કયા જિલ્લામાં કઈ તારીખે વરસાદ થવાની કરી છે આગાહી
17 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાતમાં ઘણા જિલ્લામાં સારો વરસાદ થયો છે. પરંતુ વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રવાસીઓ હજુ પણ મેઘ મહેરથી વંચિત છે. આ વર્ષે સીઝનમાં થતી હોય તેવી મેઘ મહેર થઈ નથી જેના કારણે લોકો પર પાણીની તંગીનું સંકટ તોળાઈ રહ્યું છે તો સાથે જ ખેડૂતો પર પાકને લઈને મુશ્કેલી સર્જાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં મોટાભાગના જિલ્લામાં વરસાદ પડ્યો છે પરંતુ દર વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓછો વરસાદ થયો છે જેના કારણે સૌરાષ્ટ્રમાં ઘણા ભાગોમાં વરસાદની ઘટ સર્જાય છે.
વરસાદની કાગડોળે રાહ જોતા દક્ષિણ ગુજરાતવાસીઓને તો વરસાદ થતા રાહત મળી છે પરંતુ સૌરાષ્ટ્રના અનેક વિસ્તાર કોરા રહેવાથી અહીં લોકો ચિંતામાં મુકાયા છે. તેવામાં સૌરાષ્ટ્રવાસીઓને રાહત મળે તેવી આગાહી જાણીતા અંબાલાલ પટેલે કરે છે. મોટા ભાગે વરસાદને લઈને જેની આગાહી સાચી પડે છે તેવા અંબાલાલ તેમની આગાહી માટે જાણીતા છે. ત્યારે તેમણે જણાવ્યું છે કે રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી નથી એટલા માટે વરસાદ અને પાણીની ઘટને લઈને ચિંતા કરવાની જરૂર નથી. આગામી સમયમાં રાજ્યમાં સારો વરસાદ થવાના યોગ સર્જાયા છે.
સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક વિસ્તારમાં ઊભા પાક માટે વરસાદ થાય તે અત્યંત જરૂરી છે તેવામાં ખેડૂતો હવે મીટ માંડીને આકાશ સામે જોઈ રહ્યા છે. તેવામાં અંબાલાલ પટેલે આગાહી કરી છે કે થરાદ, વાવ, રાધનપુર, પાલનપુર અને કચ્છમાં પણ વરસાદ ખૂબ ઓછો થયો છે જેને લઈ ખેડૂતોના પાકો સુકાઈ જવાની ભીતિ છે. પરંતુ રાજ્યમાં વરસાદના યોગ છે તે નક્કી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે 25 ઓગસ્ટથી વરસાદ થાય તેવા યોગ સર્જાયા છે. જેમાં નવસારી, સુરત, પંચમહાલ, છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં 28 ઓગસ્ટે સામાન્ય વરસાદ થશે. જ્યારે આગામી 30 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થાય તેવા યોગ છે. જો કે તેમણે નક્ષત્રો અંગે કહ્યું હતું કે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં થતો આ વરસાદ ખેતીના પાકો માટે સારો ગણાતો નથી.
તેમણે કરેલી આગાહી અનુસાર આગામી 11 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર વચ્ચે પણ વરસાદ થવાના યોગ છે. 11 સપ્ટેમ્બર પછી પણ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં સારો વરસાદ પડવાની શક્યતા છે.આ વર્ષે સીઝનનો વરસાદ ઓછો થયો છે પરંતુ સપ્ટેમ્બરની અંતિમ તારીખો સુધી વરસાદના યોગ છે તે બંગાળના ઉપસાગરની સિસ્ટમ અને અરબ સાગરના ભેજના લીધે થવાની શક્યતા રહેશે.