ગુજરાતમાં ધો. 12ની પરીક્ષા ક્યારે યોજાશે ? જાણો શું થઈ જાહેરાત

ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત બાદ રાજ્યમાં સૌથી વધુ ચર્ચા અને ચિંતાનો વિષય બની હતી ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ. તેવામાં આજે શિક્ષણમંત્રીએ બોર્ડની પરીક્ષાઓની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.ઘણી ચર્ચા અને મનોમંથન બાદ આજે વિદ્યાર્થીઓના હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

image source

આ નિર્ણય રાજ્યના ધોરણ 12ના 6.83 લાખ વિદ્યાર્થીઓના ભાવિ કારકીર્દી ઘડતર માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આજે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે રાજ્યમાં ધોરણ 12 બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ તા. 1 જુલાઇ 2021 અને ગુરુવારથી યોજાશે.

image source

આ નિર્ણય અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-12ની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની આ વર્ષની વાર્ષિક પરીક્ષાઓ રાબેતા મુજબની પદ્ધતિએ આગામી તા. 1/7/2021 અને ગુરૂવારથી યોજાશે. આ નિર્ણય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવાયો હતો. આ બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની વિશિષ્ટ પરિસ્થિતીને ધ્યાને લઈ બોર્ડની પરીક્ષાઓ યોજવા અંગે ચર્ચા-વિચારણા કર્યા બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

image source

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં 1,40,000 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં અને 5,43,000 વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહના એમ મળી કુલ 6,83,000 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના છે. તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે ધોરણ-12ની બોર્ડની પરીક્ષાઓ કોરોના સંક્રમણના આ વિશિષ્ટ સંજોગોમાં કોવિડ-19 પ્રોટોકોલના ચુસ્ત પાલન સાથે યોજવા શિક્ષણ વિભાગને આ બેઠકમાં સૂચનાઓ આપવામાં આવી છે.

image source

આ પરીક્ષા દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલી મુજબ જ લેવાશે. જેમાં વિજ્ઞાન પ્રવાહ ભાગ-1ની 50 ગુણની બહુવિકલ્પ પ્રકારની (MCQ) OMR પદ્ધતિથી અને ભાગ-2 વર્ણનાત્મક લેખિત સ્વરૂપની 50 ગુણની પરીક્ષા 3 કલાકની યોજવામાં આવશે. આ જ પ્રમાણે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ 100 ગુણની વર્ણનાત્મક લેખિત સ્વરૂપની 3 કલાકની પરીક્ષા યોજવામાં આવશે .

બોર્ડની પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓ સામાજિક અંતર જાળવે, માસ્કનો ફરજીયાત ઉપયોગ કરે તેમજ પરીક્ષા કેન્દ્રો ઉપર પણ સેનેટાઇઝર, થર્મલ ગન સહિતની કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇનનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગ સુનિશ્ચિત કરશે. આ વર્ષે કોરોનાના કારણે એ વાતનું ધ્યાન પણ રાખવામાં આવશે કે વિદ્યાર્થીઓને પોતાની શાળાથી નજીક પરીક્ષા કેન્દ્ર મળી રહે. જે માટે આ વર્ષે રાજ્યમાં પરીક્ષા કેન્દ્રોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. જે તાલુકાઓમાં વિદ્યાર્થીઓની પુરતી સંખ્યા ઉપલબ્ધ હશે અને જો આવા તાલુકામાં પરીક્ષા કેન્દ્ર નહી હોય તો ત્યાં પરીક્ષા કેન્દ્ર શરૂ કરાશે.

image source

વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની બન્ને પરીક્ષા માટે દરેક પરીક્ષા ખંડમાં મહત્તમ 20 વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં બેસી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્રોને સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ કરાશે. આ સિવાય જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોરોનાના સંક્રમણના કારણે ગેરહાજર રહ્યા હોય કે પરીક્ષા દરમિયાન કોરોના સંબંધિત અથવા અન્ય અનિવાર્ય કારણોસર ગેરહાજર રહે તેવા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષા એટલે કે 1 જુલાઈથી શરૂ થનાર પરીક્ષાના 25 દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી, નવા સમયપત્રક અને નવા પ્રશ્નપત્ર આધારિત પરીક્ષા યોજવામાં આવશે. ધોરણ 12 સાથે ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા પણ આ જ પ્રમાણે લેવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!