અમદાવાદમાં આ નિયમના કારણે AMTC અને BRTS બસમાંથી 13 હજારથી વધુ મુસાફરો કોરોના રસી લીધા વિનાના મળી આવ્યા
કોરોનાથી બચવા માટેનો એક માત્ર ઉપાય છે રસીકરણ. એટલા માટે જ તો આપણા દેશમાં સૌથી મોટા અને સૌથી ઝડપી રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. વધુને વધુ લોકો રસી લે અને કોરોના સામે સુરક્ષિત થાય તે માટે તંત્ર ઊંધે માથે થયું છે તેમાં જરૂરી છે કે લોકો પણ જાગૃત થાય અને રસી લેતા થાય. જો કે ઘણા લોકો એવા છે જે રસીને લઈને જાગૃત થયા છે અને પોતાનો વારો આવે એટલે રસી લેવા પહોંચી જાય છે. પરંતુ આવા લોકોની વચ્ચે કેટલાક મહાનુભાવો એવા પણ છે કે જે પોતે રસી લેતા નથી અને અન્યના જીવને જોખમમાં મુકી દેતા હોય છે. આવા લોકોને પકડી પકડીને રસી આપવાનું કામ હવે અમદાવાદ મહાપાલિકાએ શરુ કર્યું છે.
ત્રીજી લહેરની ભીતી વચ્ચે પહેલી બે લહેર જેવી હાલત અમદાવાદ શહેરની ન થાય તે માટે તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી અમદાવાદ મહાનગર પાલિકા વિસ્તારમાં ખાસ ડ્રાઈવ શરુ કરવામાં આવી છે જેમાં વેકસીન ન લીધી હોય તેવા લોકોને ઓન ધ સ્પોટ વેકસીન આપવામાં આવે છે. અમદાવાદમાં નો વેકિસન નો એન્ટ્રી નિયમ લાગુ કરાયો છે.
જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં અને જાહેર જગ્યાઓ પર આવતા લોકોએ રસી લીધી છે કે નહીં તે ચેક કરવામાં આવે છે અને રસી લીધા વિનાના લોકો ઝડપાય તેને તુરંત ત્યાં જ રસી આપી દેવામાં આવે છે. જો કે જાણીને નવાઈ લાગશે કે પહેલા દિવસે જ આ ડ્રાઈવમાં મોટી સંખ્યામાં લોકો એવા મળી આવ્યા જેમણે રસી લીધી ન હતી.
નો વેકિસન નો એન્ટ્રી અંતગર્ત પહેલા જ દિવસે અમદાવાદ શહેરની AMTC અને BRTS બસમાંથી 13 હજારથી વધુ મુસાફરો કોરોના રસી લીધા વિનાના મળી આવ્યા હતા. આ સિવાય એવા લોકોનું પણ ચેકીંગ કરાયું હતું જેમણે સરકારી કચેરીની મુલાકાત લીધી હતી. આવા 300 લોકો હતા જેમણે હજુ સુધી રસી લીધી ન હતી. આ તમામ લોકોને ઓન ધ સ્પોટ વેકસીન આપવામાં આવી હતી.
શહેરમાં લાગુ કરાયેલા નવા નિયમ અનુસાર વ્યક્તિનું વેકસીનેશન સર્ટીફીકેટ ચેક કરવામાં આવે છે. આ સર્ટીફીકેટ ચેક કર્યા બાદ જ તેમને મહાપાલિકાની ઓફિસમાં પ્રવેશ આપવામાં આવે છે.
આ જ રીતે બસોમાં, બગીચામાં અને અન્ય જાહેર જગ્યાઓએ માણસોને તૈનાત કરવામાં આવ્યા છે જે લોકોએ રસી લીધી છે કે કેમ તે અંગેની ચકાસણી કરે છે. મુલાકાતીએ રસી લીધી હોય તો જ તેમને પ્રવેશ આપવામાં આવે છે.