ઈચ્છામૃત્યુનું વરદાન હતુ તેમ છતાં શા માટે ભીષ્મ પિતામહે સહન કર્યું બાણ શૈયાની તકલીફ
મકરસંક્રાંતિનો તહેવાર દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય ભગવાન ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ દિવસથી ઉત્તરાયણ શરૂ થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં ઉત્તરાયણને શુભ સમય માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં ઉત્તરાયણનો મહિમા કહ્યો છે. આ જ કારણ છે કે મહાભારત કાળમાં ગંગા પુત્ર ભીષ્મે છ મહિના સુધી બાણોની શૈયા પર સૂઈને ઉત્તરાયણની રાહ જોઈ હતી અને મકરસંક્રાંતિના દિવસે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો. ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન મળ્યું હતું.
સૂર્યની બે સ્થિતિઓ હોય છે એક ઉત્તરાયણ અને દક્ષિણાયન. જ્યારે સૂર્ય ઉત્તર દિશામાં મકર રાશિથી મિથુન રાશિ સુધી ભ્રમણ કરે છે ત્યારે તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે. ઉત્તરાયણ દરમિયાન દિવસ લાંબો અને રાત ટૂંકી થઈ જાય છે. આ સિવાય જ્યારે સૂર્ય કર્ક રાશિથી ધન રાશિમાં દક્ષિણ દિશામાં ભ્રમણ કરે છે ત્યારે તેને દક્ષિણાયન કહેવામાં આવે છે. દક્ષિણાયન દરમિયાન રાત લાંબી અને દિવસ ટૂંકો હોય છે. ઉત્તરાયણ અને દક્ષિણાયન બંનેનો સમયગાળો છ મહિનાનો છે.
શાસ્ત્રોમાં ઉત્તરાયણને પ્રકાશનો સમય માનવામાં આવે છે અને તેને દેવતાઓનો સમય કહેવામાં આવે છે. આ સમયે દેવતાઓની શક્તિઓ ખૂબ વધી જાય છે. ભગવત ગીતામાં ઉત્તરાયણનું મહત્વ વર્ણવતા ભગવાન કૃષ્ણે કહ્યું છે કે જે વ્યક્તિ ઉત્તરાયણ દરમિયાન પોતાના પ્રાણ ત્યજે છે તેને વારંવાર જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે એટલે કે તેને મોક્ષ મળે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર જે લોકો મકરસંક્રાંતિ એટલે કે સૂર્યની ઉત્તરાયણ પછી પોતાના પ્રાણ ત્યાગ કરે છે તેમની આત્માને સ્વર્ગનું સૌભાગ્ય મળે છે. આવા જીવ ભગવાન વિષ્ણુના દર્શન કરે છે અને તેને મોક્ષ પણ મળે છે. આ જ કારણ છે કે ઉત્તરાયણ પછી પિતામહ ભીષ્મે પોતાના પ્રાણ ત્યાગ કર્યા હતા. ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું પરંતુ તેમ છતાં તેમણે બાણની શૈયા પર કષ્ટમાં સમય પસાર કર્યો.
મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામહને જ્યારે અર્જુને તેને બાણોથી વીંધ્યા હતા ત્યારે સૂર્ય દક્ષિણાયનમાં હતો. ઈચ્છામૃત્યુનું વરદાન હોવા છતાં મોક્ષ પ્રાપ્ત થાય અને ફરી પૃથ્વી પર જન્મ ન લેવો પડે તે માટે ભીષ્મ પિતામહે બાણોની શૈયા પર સૂઈ સૂર્યના ઉત્તરાયણની રાહ જોઈ. જ્યારે મકરસંક્રાંતિના દિવસે સૂર્યે પોતાની રાશિ બદલી અને ઉત્તરાયણમાં ગતિ કરી ત્યારે તેમણે પ્રાણ ત્યાગ કર્યા હતા.
આ વાત તો થઈ ઉત્તરાયણની પૌરાણિક કથાની. હવે વાત કરીએ આ વર્ષની ઉત્તરાયણની તો વર્ષ 2022માં ઉત્તરાયણ કાળ 14મી જાન્યુઆરીએ બપોરે 2.29 વાગ્યાથી શરુ થશે. આ સમયે સૂર્ય મકર રાશિમાં ગોચર કરશે. જ્યાં આગામી 13 ફેબ્રુઆરી સુધી સૂર્ય રહેશે અને ત્યારબાદ કુંભ રાશિમાં આગળ વધશે.