દિલ્હીની હાલત, એક સમયે જે દુકાનો પર અંતિમસંસ્કારની પૂજા સામગ્રી મળતી આજે પીપીઇ કિટ અને મોજાં વેચાઈ છે

હાલમાં સમગ્ર દેશમાં કોરોનાએ પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. લોકો પડાપડી કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે અને એ જ રીતે ગુજરાતમાં પણ 9 મહિનાના સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે દિલ્હીથી એક કરૂણ સમાચાર સામે આવી રહ્યા છે કે જેની હાલમાં બધે જ ચર્ચાં કરવામાં આવી રહી છે. આ વાત છે નિગમબોધ ઘાટ પહોંચેલી 32 વર્ષની કુસુમની.

image source

નિગમબોધ ઘાટ વિશે વાત કરીએ તો હાલમાં દિલ્હીમાં જે ઝડપથી કોરોનાથી થતાં મોતોની સંખ્યા વધી છે તેની સીધી અસર નિગમબોધ ઘાટ પર જોઈ શકાય છે, જે દિલ્હીનો સૌથી મોટો સ્મશાન ઘાટ છે. ગત રવિવારે જ નિગમઘાટ પર કુલ 31 કોરોના સંક્રમિત મૃતદેહોના અંતિમસંસ્કાર કરાયા હતા. ગત એક પખવાડિયાની વાત કરીએ તો આ ઘાટ પર 287 કોરોના સંક્રમિત મૃતદેહોને અગ્નિના હવાલે કરાઈ હતી.

image source

નિગમબોધ ઘાટ પર લાકડાંની ચિતાઓની સાથે સીએનજીથી ચાલતી ભઠ્ઠીઓમાં પણ અગ્નિદાહ અપાય છે. કોરોનાથી થતાં મોતની વધતી સંખ્યાને જોઈને હાલમાં જ આવી ત્રણ નવી ભઠ્ઠીઓ શરૂ કરવામાં આવી છે. અહીંના મેનેજર સુમન ગુપ્તા કહે છે, નવી બનાવેલી ત્રણ સીએનજી ભઠ્ઠીઓમાંથી બેનું નિર્માણ ઈંદ્રપ્રસ્થ લિમિટેડના સહયોગથી અને એકનું નિર્માણ ‘બડી પંચાયત વૈશ્ય અગ્રવાલ’ સમિતિના સહયોગથી થયું છે.’ આ ઉપરાંત ઘાટની પાસે જ યમુના નદીના કિનારે પણ 13 પ્લેટફોર્મ બનેલાં છે, જેનો ઉપયોગ જરૂર પડ્યે કોરોના સંક્રમિત મૃતદેહના અંતિમસંસ્કાર માટે કરી શકાય છે. ગત 15 દિવસમાં દિલ્હીમાં કોરોનાથી થતાં મોતની સંખ્યા ખૂબ ઝડપથી વધી છે.’

image source

પણ જો કુસુમની વાત કરીએ તો કુસુમના પિતાનું મોત આજે સવારે જ કોરોનાના લીધે થયું છે. તેઓ દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં છેલ્લા પાંચ દિવસથી દાખલ હતા. મોત પછી હોસ્પિટલ તંત્રએ તેમના પિતાની લાશને સીલ કરીને પોતાના જ વાહનમાં નિગમબોધ ઘાટ સુધી પહોંચાડી. હોસ્પિટલના જ બે કર્મચારી પીપીઈ કિટ પહેરીને આ લાશને ઘાટ સુધી લાવ્યા છે.

image source

સૌથી કરુણ વાત એ છે કે, કુસુમે છેલ્લા સમયમાં પોતાના પિતાનો ચહેરો પણ જોયો નહોતો, આથી તે નિગમબોધ ઘાટના સેવાદારોને હાથ જોડીને અને રડતા અનુરોધ કરી રહી હતી કે તેમને એક છેલ્લીવાર તેના પિતાનો ચહેરો જોવાની અનુમતિ આપે. ત્યારબાદ નિગમબોધ ઘાટના એક સેવાદાર કુસુમને સમજાવે છે કે કોરોના સંક્રમિત મૃતદેહનો ચહેરો ખોલવાની અનુમતિ નથી અને એમ કરવાથી સંક્રમણ ફેલાવાનું જોખમ રહે છે, પરંતુ પોતાના પિતાના અંતિમ દર્શનની કુસુમની જીદને જોઈને એ સેવાદાર તેની અનુમતિ આપી દે છે.

આગળની ઘટના કંઈક એવી બને છે કે, કુસુમના પિતાના મૃતદેહને ફરી એ જ વાહનમાં થોડા સમયમાં રાખવામાં આવે છે, જેમાં હોસ્પિટલથી તેમને લાવવામાં આવ્યા હતા. પછી પીપીઈ કિટ પહેરીને બે લોકો મૃતદેહનો ચહેરો થોડી સેકન્ડ માટે ખોલે છે અને તરત જ લાશને ફરી સીલ કરીને ચિતા પર રાખી દે છે. ત્યારે આ બાબતે વાત કરીએ તો નામ ન છાપવાની શરતે એક સેવાદારે કહ્યું, ‘અમે સૌ આ મહામારી વચ્ચે પણ અંતિમસંસ્કાર કરી રહ્યા છીએ, કેમ કે એ ધર્મનું કામ છે. તેમાં અમને અને અમારા પરિવારને પણ સંક્રમણનું જોખમ છે, પરંતુ તેમ છતાં અમે પૂરી લગનથી પ્રતિદિન ડઝનબંધ લોકોના અંતિમ સંસ્કાર કરી રહ્યા છીએ.

image source

સેવાદાર કહે છે કે, અમને આકરા નિર્દેશ છે કે સંક્રમિત મૃતદેહથી પરિવારજનોને દૂર રાખવામાં આવે અને તેને ખોલવાની તો બિલકુલ મંજૂરી નથી, પરંતુ એક પુત્રીનાં આંસુ અને પોતાના પિતાનાં અંતિમ દર્શનની ઈચ્છા આગળ અમે પણ લાચાર છીએ. હું ખુદ એક પુત્રીનો પિતા છું. હું સમજી શકું છું કે આ દીકરી પર શું વીતી રહી હશે. તે છેલ્લી વખત જો પોતાના પિતાનો ચહેરો જોઈ ન શકી હોત તો કદાચ ક્યારેય આ દુઃખમાંથી બહાર ન આવી શકી હોત. તેથી અમે મૃતદેહનો ચહેરો જોવાની અનુમતિ આપી.’ આગળ વાત કરતાં આ સેવાદારે કહ્યું કે, બપોરે એક વાગ્યા સુધી દિલ્હીના નિગમબોધ ઘાટ પર એક ડઝનથી વધુ કોરોના સંક્રમિત મૃતકોને અગ્નિદાહ આપવામાં આવ્યો. આ પરિસરમાં લાકડાંની કુલ 104 ચિતાની વ્યવસ્થા છે, જેમાં 52 ચિતાને કોરોના સંક્રમિતો માટે અલગ કરી દેવાઈ છે.

નિગમબોધ ઘાટનું સંચાલન કરતી ‘બડી પંચાયત વૈશ્ય બીસે અગ્રવાલ’ સમિતિના મુખ્ય મેનેજર સુમન કુમાર ગુપ્તા કહે છે, ‘સામાન્ય રીતે આ ઘાટ પર સરેરાશ 50 મૃતદેહ દરરોજ આવતા હતા, પરંતુ હાલના દિવસોમાં માત્ર કોરોનાથી થતાં મોતને કારણે જ લગભગ 25 મૃતદેહ રોજ આવી રહ્યા છે અને કુલ મૃતદેહોની સંખ્યા તો ઘણી વધી ગઈ છે. બે દિવસ અગાઉ અહીં 121 મૃતદેહ એક જ દિવસમાં આવ્યા હતા. આટલી સંખ્યા અગાઉ ક્યારેય જોઈ નથી. કહેવાય રહ્યું છેવ કે, સામાન્ય રીતે નિગમબોધ ઘાટ પર જે મંત્રોની ગુંજ સાંભળવા મળતી એના સ્થાને હવે કોરોના અંગેના નિર્દેશોના ઉદ્ઘઘોષે લીધું છે.

અહીં હાલત એવી છે કે, હાલમાં ઠેકઠેકાણે લાગેલાં સ્પીકર લોકોને જણાવે છે કે તેઓ સામાજિક અંતરનું ધ્યાન રાખે. ઘાટના સેવાદારોને સહયોગ આપે અને એક મૃતદેહની સાથે વધુમાં વધુ 20 લોકો જ ઘાટ પર જાય. ઘાટનો નજારો એટલા માટે પણ બદલાયેલો જોવા મળે છે કે સામાન્ય રીતે જ્યાં મૃતદેહની સાથે સ્મશાન ઘાટ પર ગયેલી દરેક વ્યક્તિ જ મૃતદેહને કાંધ અને લાકડીઓ આપતી નજરે પડતી હતી, એના સ્થાને હાલના દિવસોમાં લોકો મૃતદેહની નજીક આવવાથી પણ દૂર રહે છે અને પીપીઈ કિટ પહેરેલા બે-ત્રણ લોકો જ મૃતદેહને કાંધ આપે છે. કંઈક એવો જ માહોલ બહાર છે કે, ઘાટની બહાર લાગેલી દુકાનો પણ કંઈક બદલાયેલી લાગે છે. જે દુકાનોમાં અંતિમસંસ્કારની પૂજા- સામગ્રી વેચાતી હતી ત્યાં હવે પીપીઈ કિટ, મોજાં અને ફેસ શીલ્ડ જેવી ચીજો વેચાઈ રહી છે.

image source

ત્યારે આવી જ એક દુકાનના માલિક ગૌરવ સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે-હાલના દિવસોમાં કોરોના સંક્રમિત મૃતદેહોની સંખ્યા વધી છે પણ હવે પહેલાં જેવો ભય લોકોમાં નથી. શરૂઆતના સમયમાં તો કોઈને ખબર નહોતી કે આ મૃતદેહના અંતિમસંસ્કાર કઈ રીતે કરવાના છે. પરિસ્થિતિ એવી હતી કે, કોઈપણ તેમની નજીક જતું નહોતું અને માત્ર સીએનજીવાળા સ્મશાનગૃહોમાં જ તેમને અગ્નિદાહ અપાતો હતો પણ હવે સ્થિતિ થોડી અલગ છે. હવે તો આ મૃતદેહના પણ વિધિવિધાન સાથે અંતિમસંસ્કાર કરવામાં આવે છે. પિંડદાનથી લઈને અસ્થિવિસર્જન સુધીની તમામ ક્રિયાઓ પૂરી કરાવાય છે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત