આ ખાસ હેતુ સાથે અમદાવાદમાં બનશે ૧૫૦૦ કરોડના ખર્ચે ભવ્ય પાટીદાર સંકુલ
આખી દુનિયામાં વસતા કડવા પાટીદારના કુળદેવી એવા જગતજનની માતા ઉમીયાના સાક્ષાત સ્વરૂપે ઊંઝામાં આવેલ અતિ પ્રાચીન અને પ્રસિદ્ધ નિજ મંદિરમાં વિરાજમાન છે. ઊંઝામાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતા ઉમિયાના દર્શન કરવા માટે આવે છે. માતા ઉમિયા પોતાના તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે.
ઊંઝામાં શ્રધ્ધાળુઓને સારી વ્યવસ્થા પ્રદાન કરવામાં આવે છે. ભારતના અલગ અલગ ભાગોમાં આધુનિક સુવિધાઓની સજ્જ ઊંઝા સંસ્થાન દ્વારા સંકુલોનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે કડીથી આગળ આવેલ ગુજરાત રાજ્યની આર્થિક રાજધાની તરીકે જાણીતા એવા અમદાવાદ શહેરમાં પાટીદાર સમાજના ઉત્કર્ષ માટે, ધાર્મિક, સામાજિક અને આરોગ્ય જેવા વિષયોને ધ્યાનમાં રાખતા ૧૫૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરીને અમદાવાદ શહેરમાં ભવ્ય સંકુલ નિર્માણ કરવાનો પ્રોજેક્ટ ઊંઝા સંસ્થાન તરફથી હાથ ધરવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટને મૂર્તિમંત કરવાના ઉદ્દેશથી અમદાવાદ શહેરના એસ.જી. હાઈ વે પર આવેલ ૭૪ હજાર વાર જમીન ખરીદી લેવામાં આવી છે. આ નિર્માણધીન અતિભવ્ય સંકુલમાં અંદાજીત એકસાથે ૧ હજાર કારનું પાર્કિંગ કરી શકાય તેવી વ્યવસ્થા કરવાની સાથે ચાર એન્ટ્રી ગેટ અને ચાર એક્ઝીટ ગેટ બનાવવામાં આવશે. આ ભવ્ય સંકુલમાં માતા ઉમિયાના ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવશે. આ સાથે જ ભવ્ય સંકુલના પરિસરમાં જ વિશ્રામ ગૃહ અને ભોજનાલય બનાવવામાં આવશે. આ બધી જ બાબતો અંગે વિસ્તારથી વાતચીત કરવા માટે સોલા કેમ્પસ ખાતે પાટીદાર સમાજના અગ્રણીઓની મિટિંગ યોજવામાં આવી હતી. આ મીટીંગમાં એક અવાજે આવનાર પ્રોજેક્ટને સંબંધિત કામગીરીનું આયોજન કરવાની સાથે સાથે સમાજ નિર્માણથી લઈને રાષ્ટ્રનિર્માણ વિષે વાતચીત કરવામાં આવી હતી. આ અવસરે ઉપસ્થિત રહેલ પાટીદાર સમાજના અગ્રણીઓને ઉદ્દબોધન કરતા પાટીદાર સમાજના ભામાશા કહેવાતા સી. કે. પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પાટીદાર સમાજ હંમેશા સામાજિક સમરસતામાં વિશ્વાસ કરે છે તમામ સમાજને સાથે રાખીને ચાલી રહ્યા છીએ અને અમારા આવનાર પ્રોજેક્ટમાં પણ આ જ ભાવનાને સારી રીતે વ્યક્ત કરવામાં આવશે.
આ અવસરે ઉપસ્થિત પત્રકારો દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નના જવામાં સી. કે. પટેલએ જણાવ્યું હતું કે, આજ રોજ આયોજિત આ મીટીંગ ફક્તને ફક્ત ધાર્મિક અને સામાજિક આયોજનના હેતુથી યોજવામાં આવી હતી. પણ આવનાર સમયમાં રાજકીય બાબતોને લઈને અમે ચિંતન કરીશું. પાટીદાર સમાજની તમામ સંસ્થાઓ એકબીજાની સાથે સંકલન ધરાવે છે. ઉમિયાધામ સોલા સ્થિત મળેલ આ બેઠકમાં ઊંઝા સંસ્થાનના માનનીય પ્રમુખ મણીભાઈ મમ્મી, માનદ મંત્રી દિલીપભાઈ નેતાજી, સોલા વિકાસ કમિટી ચેરમેન બાબુભાઈ પટેલ, પ્રહલાદભાઈ કામેશ્વર, ગટોરભાઈ પટેલ, સી. કે. પટેલ, બાબુભાઈ ખોરજવાળા, રમેશભાઈ દુધવાળા, વાસુદેવભાઈ પટેલ, ગોવિંદભાઈ વરમોરા, જયરામભાઈ પટેલ, એમ. એસ. પટેલ સહિત સંસ્થા સાથે સંબંધિત મોટાભાગના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.