બાળકોની વેકસીનના 2 ડોઝ વચ્ચે હશે આટલા દિવસનું અંતર
કોરોના વાયરસની બીજી ઘાતક લહેર બાદ ત્રીજી લહેર પણ ત્રાટકી શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ લહેર જો આવે તો તેમાં બાળકો પર સૌથી વધુ જોખમ હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. કારણ કે ભારતમાં બાળકોને હજુ સુધી રસીથી સુરક્ષિત કરી શકાયા નથી. પરંતુ હવે આ વાતની ચિંતા પણ દૂર થઈ ગઈ છે. મંગળવારનો દિવસ ભારત માટે મંગળ સાબિત થયો છે. કારણ કે આ દિવસે ભારતને કોરોના વિરુદ્ધ જંગમાં વધુ એક મહત્વની સફળતા મળી છે.
ડીસીસીઆઈએ ભારત બાયોટેકની બાળકો માટેની રસીને મંજૂરી આપી દીધી છે. આ રસીના પણ બે ડોઝ હશે જે બાળકોને આપવામાં આવશે. બાળકોને બે ડોઝ 28 દિવસના અંતરે આપવામાં આવશે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને કોવેક્સીનને મંજૂરી આપવામાં આવે છે. દેશમાં હવે આ રસીને મંજૂરી મળતાં 2 વર્ષથી 18 વર્ષ સુધીના બાળકોને પણ કોરોનાની રસી આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આઈસીએમઆર અને ભારત બાયોટેકે સાથે મળી અને કોવૈક્સિન બનાવી છે. આ ભારતીય રસી છે. કોરોના વાયરસ વિરુદ્ધ કોવેક્સિન ક્લિનીકલ ટ્રાયલ્સમાં અંદાજે 78 ટકા અસરદાર સાબિત થઈ છે. જાણવા મળ્યા અનુસાર આ રસી એવા બાળકોને પહેલા આપવામાં આવશે કે અસ્થમા જેવી બીમારીથી પીડિત છે. સરકારી જગ્યાઓએ આ રસી ફ્રીમાં આપવામાં આવશે. એક ડોઝ લીધાના 28 દિવસ બાદ બીજો ડોઝ બાળકોને આપવામાં આવશે.
ભારત બાયોટેકને બાળકોની રસી માટેના પરીક્ષણની મંજૂરી મે મહિનામાં આપવામાં આવી હતી. આ ટ્રાયલ સપ્ટેમ્બર મહિનામાં થયા છે અને હવે રિપોર્ટ અને પરિણામો સીડીએસસીઓને સોંપવામાં આવ્યા હતા. જે ડેટા જોયા બાદ રસીને મંજૂરી આપી દેવામાં આવી છે.
જો કે બાળકો માટેની રસીને આપવાની રીત અલગ પ્રકારની હશે. બાળકોને રસી પ્રી ફિલ્ડ સિરિંજથી એટલે કે પહેલાથી જ ચોક્કસ માપમાં ભરેલી સીરિંજથી આપવામાં આવશે. બાળકોને એક ડોઝમાં 0.5 એમએલનો ડોઝ આપવામાં આવશે. 2 વર્ષ સુધીના બાળકોને વધારે ડોઝ આપવામાં આવે તો બાળકોને આડઅસર થઈ શકે છે તેથી તેમને નિયત માત્રમાં ભરેલો ડોઝ આપવામાં આવશે.
જો કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને અત્યાર સુધીમાં કોવોક્સીનના આપાતકાલીન ઉપયોગને અનુમતિ આપી નથી. પરંતુ ભારત બાયોટેકે કથિત રીતે 9 જુલાઈ સુધીમાં વેકસીનને અનુમતિ આપવા તમામ દસ્તાવેજ જમા કરાવી દીધા છે.